Sun Jul 05 2026

Logo

સરકારને ખનિજ બ્લોક્સની હરાજી કેમ રદ કરવી પડી?

2026-07-05 18:38:52
Author: Nilesh Waghela
Article Image

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નવ મહત્વપૂર્ણ ખનિજ બ્લોક્સની હરાજી રદ જાહેર કરી છે. રોકાણકારોના નબળા પ્રતિસાદ અને પાત્રતા ધરાવતા બિડર્સના અભાવે સાતમા રાઉન્ડમાં સરકારને નિરાશા સાંપડી હતી. સરવાળે રોકાણકારો તરફથી નબળા પ્રતિસાદ મળ્યા બાદ કેન્દ્ર સરકારે નવ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજ બ્લોક્સની હરાજી રદ કરી છે.આ નિર્ણય ખનિજ હરાજીના સાતમા રાઉન્ડમાં ઓફર કરાયેલા બ્લોક્સને અસર કરે છે. આ પગલું મહત્વપૂર્ણ ખનિજોનું સ્થાનિક ઉત્પાદન વધારવાના ભારતના પ્રયાસોને આંચકો આપે છે. આ ખનિજો સ્વચ્છ ઉર્જા, ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય અદ્યતન ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ છે.

બે બ્લોક્સ મધ્યપ્રદેશમાં મજૌલી ટાઇટેનિયમ, વેનેડિયમ અને એલ્યુમિનસ લેટેરાઇટ બ્લોક અને રાજસ્થાનમાં છઅખઇ ડેગાના ટંગસ્ટન, લિથિયમ અને એસોસિએટેડ મિનરલ બ્લોક છે. મંત્રાલયે કહ્યું કે કોઈ બોલી લગાવનારા ન હોવાથી હરાજી રદ કરવી પડી છે. સરકારે સાત અન્ય ખનિજ બ્લોકની હરાજી પણ રદ કરી, કારણ કે તેમને ઓછામાં ઓછા ત્રણ તકનીકી રીતે લાયક બિડર મળ્યા નહોતા.

હરાજીના નિયમો હેઠળ, હરાજી પ્રક્રિયા ચાલુ રાખવા માટે ઓછામાં ઓછી સંખ્યામાં લાયક બિડર્સ હોવા આવશ્યક છે. રદ કરાયેલા બ્લોક્સમાં નવારા-નવદિહ ગ્લાઉકોનાઇટ બ્લોક, ટીપા ગ્લાઉકોનાઇટ બ્લોક, શાહપુર ગ્લાઉકોનાઇટ બ્લોક, સપનેરી વેનેડિયમ બેરિંગ મેગ્નેટાઇટ-ઇલમેનાઇટ બ્લોક, ગુરુર ગ્લાઉકોનાઇટ બ્લોક, કરહિભદર ગ્લાઉકોનાઇટ બ્લોક અને નારિંગપંગા (દક્ષિણ) ગ્રેફાઇટ બ્લોકનો સમાવેશ થાય છે.

આ બ્લોક બિહાર, છત્તીસગઢ અને ઓડિશામાં સ્થિત છે. ક્રિટિકલ મિનરલ પ્લાન માટે પડકાર ઊભો થયો છે. આ રીતે લીલામ રદ કરવાથી મહત્વપૂર્ણ ખનિજ સંશોધનમાં રોકાણ કરવા માટે ખાનગી કંપનીઓને આકર્ષવામાં મુશ્કેલી પડે છે. આ ખનિજોના ખાણકામમાં ઘણીવાર ઊંચુ રોકાણ, તકનીકી પડકારો અને લાંબી પ્રોજેક્ટ સમયમર્યાદા શામેલ હોય છે.નિયમનકારી મુદ્દાઓ અને શોધ જોખમો પણ રોકાણકારોના રસને ઘટાડે છે. આવી હરાજી નિષ્ફળ જવાનો આ પહેલો પ્રસંગ નથી. સરકારે અગાઉ છઠ્ઠા રાઉન્ડમાં ૧૧, પાંચમા રાઉન્ડમાં પાંચ, ચોથામાં ૧૧, ત્રીજામાં ત્રણ, બીજામાં ૧૪ અને પ્રથમ રાઉન્ડમાં ૧૩ બ્લોક્સ નબળી ભાગીદારીને કારણે રદ કર્યા હતા.

સાતમો રાઉન્ડ નવા રાજ્યોને આવરી લે છે. હરાજીના સાતમા રાઉન્ડની શરૂઆત ૨૩ માર્ચે નોટિસ ઇન્વાઇટીંગ ટેન્ડર (એનઆઇટી) દ્વારા કરવામાં આવી હતી. ખાણ અને ખનિજો (વિકાસ અને નિયમન) અધિનિયમ, ૧૯૫૭ અને ખનિજ (હરાજી) નિયમો, ૨૦૧૫ હેઠળ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજો ધરાવતા કુલ ૧૯ બ્લોક ઓફર કરવામાં આવ્યા હતા.આ રાઉન્ડમાં પ્રથમ વખત ગુજરાત, ઉત્તરાખંડ અને તેલંગાણા સુધી મહત્વપૂર્ણ ખનિજ સંશોધનનો વિસ્તાર કરવામાં આવ્યો હતો અને તેમાં ગ્રેફાઇટ, રેર અર્થ સબસ્ટન્સ, વેનેડિયમ, ટાઇટેનિયમ, ગ્લુકોનાઇટ, રોક ફોસ્ફેટ અને લિથિયમ જેવા ખનિજોનો સમાવેશ થાય છે, જે ભારતની ઊર્જા સુરક્ષા અને સ્વચ્છ ટેકનોલોજી લક્ષ્યો માટે મહત્વપૂર્ણ છે.