મનહર ચોકસી
‘નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (NSE)ના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષકુમાર ચૌહાણે ભારતના આધુનિક નાણાકીય બજારના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.નોંધવું રહ્યું કે પાછલાં 35 વર્ષથી વધુના તેમના અનુભવમાં સ્ટૉક એક્સચેન્જ, ટેક્નૉલૉજી, કૉર્પોરેટ મૅનેજમેન્ટ, નાણાકીય બજાર, શિક્ષણ અને જાહેર નીતિ જેવાં વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
આઇઆઇટી બૉમ્બે અને આઇઆઇટી કલકત્તાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચૌહાણે1991માં આઇડીબીઆઇ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે NSEની સ્થાપના માટે બનાવવામાં આવેલી મુખ્ય ટીમમાં સામેલ થયા હતા.
વર્ષ 1990ના દાયકાની શરૂઆતમાં ભારતનાં શૅરબજારો મુખ્યત્વે પરંપરાગત ફ્લોર ટ્રેડિંગ પર આધારિત હતાં અને તેમાં ગેરરીતિ અને અકાર્યક્ષમતાનું જોખમ હતું. આ તબક્કે આશિષભાઈએ સંપૂર્ણપણે ઑટોમેટેડ, સ્ક્રીન આધારિત અને દેશવ્યાપી ટ્રેડિંગ સિસ્ટમ ઊભી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ પરિવર્તનથી શૅરબજારમાં પારદર્શિતા, ઝડપ અને સામાન્ય રોકાણકારોની બજાર સુધીની પહોંચમાં મોટો સુધારો થયો. NSEનાં પ્રારંભિકનાં વર્ષોમાં તેમણે અનેક મહત્ત્વપૂર્ણ પહેલોમાં યોગદાન આપ્યું હતું, જેમાં નિફ્ટી ઇન્ડેક્સ, આધુનિક એક્સચેન્જ આધારિત ડેરિવેટિવ્સ, એનએસઈ સર્ટિફિકેશન ઇન ફાઇનાન્શિઅલ માર્કેટ્સ અને ક્લિયરિંગ તથા ડિપોઝિટરી જેવી મહત્ત્વપૂર્ણ બજાર વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે.
નાણાકીય ડેરિવેટિવ્સના વિકાસમાં તેમના યોગદાનને કારણે તેમને ભારતમાં ‘ડેરિવેટિવ્સના જનક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2000માં NSE છોડ્યા બાદ ચૌહાણ રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયા અને ગ્રુપ ચીફ ઇન્ફૉર્મેશન ઑફિસર તરીકે કામ કર્યું. તેમણે વિવિધ વ્યવસાયોમાં મોટા ટેક્નૉલૉજી પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું અને તે સમયની ભારતની સૌથી મોટી એસએપી અમલીકરણ પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
વર્ષ 2006માં તે રિલાયન્સ પેટ્રોલિયમના આઇપીઓ સાથે પણ જોડાયેલા હતા. આ આઇપીઓમાં લાખો અરજીઓ આવી હતી અને ઇસ્યૂ મોટા પ્રમાણમાં ઓવરસબ્સ્ક્રાઈ થયો હતો. ત્યારબાદ તેમણે ‘મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમ’નાં શરૂઆતનાં વર્ષોમાં સીઈઓ તરીકે પણ સેવા આપી હતી.
વર્ષ 2009માં ચૌહાણ BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ બન્યા. તેમણે એક દાયકા દરમિયાન એશિયાના સૌથી જૂના સ્ટૉક એક્સચેન્જને આધુનિક અને ટેક્નૉલૉજી આધારિત સંસ્થામાં પરિવર્તિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમના નેતૃત્વ હેઠળ BSEએ ટ્રેડિંગ, ક્લિયરિંગ અને રિસ્ક મૅનેજમેન્ટ સિસ્ટમમાં મોટા ટેક્નૉલૉજિકલ સુધારા કર્યા અને પ્રતિસાદનો સમય માત્ર છ માઇક્રોસેક્ધડ સુધી ઘટાડ્યો. BSEએ ઇક્વિટી ઉપરાંત કરન્સી, કૉમોડિટી અને વ્યાજદરના ડેરિવેટિવ્સ ક્ષેત્રમાં પણ વિસ્તરણ કર્યું. 2017માં BSEનો આઇપીઓ પણ સફળ રહ્યો અને તે 51 ગણાથી વધુ ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો.
BSEમાં કામ કરતી વખતે ચૌહાણે નાણાકીય સમાવેશ (ફાઇનાન્શિઅલ ઇન્ક્લુઝન)ને પણ પ્રોત્સાહન આપ્યું. તેમણે બીએસઈ સ્ટાર મ્યુચ્યુઅલ ફંડ પ્લૅટફૉર્મ શરૂ કર્યું, જેના કારણે રિટેલ રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સરળ બન્યું. નાના અને મધ્યમ ઉદ્યોગોને મૂડી મેળવવામાં મદદ કરવા માટે એસએમઈ પ્લૅટફૉર્મના વિકાસને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું. કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (સીએસઆર) માટે ‘સન્માન’ પ્લૅટફૉર્મ દ્વારા કંપનીઓને વિશ્ર્વસનીય સંસ્થાઓ શોધવામાં અને સીએસઆર ફંડનું નિરીક્ષણ કરવામાં મદદ મળી.
વર્ષ 2022માં ચૌહાણ ફરી NSE સાથે મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે જોડાયા. તેમનાં મુખ્ય લક્ષ્યોમાં કૉર્પોરેટ ગવર્નન્સ, નિયમોનું પાલન, જોખમ વ્યવસ્થાપન અને માહિતી સુરક્ષાને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. તેમના નેતૃત્વ હેઠળ NSEનો ટ્રેડ અને ઇન્વેસ્ટર્સ બેઝ નોંધપાત્ર રીતે વધ્યો છે. NSE સાથે હવે 12.8 કરોડથી વધુ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ અને આશરે 25 કરોડ ઇન્વેસ્ટર્સ અકાઉન્ટ્સ જોડાયેલાં છે. રોકાણકારોની પહોંચ ભારતના 99.85 ટકા પિન કોડ સુધી પહોંચી છે.
ટેક્નૉલૉજી અને મજબૂત વ્યવસ્થા ચૌહાણના નેતૃત્વના મુખ્ય આધાર રહ્યા છે. NSEએ ડેટા સેન્ટર, પ્રાઇવેટ ક્લાઉડ, સાઇબર સુરક્ષા અને ડિઝાસ્ટર રિકવરી સિસ્ટમમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. ભારતે 2023માં ટી પ્લસ વન સેટલમેન્ટ સિસ્ટમ અપનાવી અને ત્યારબાદ વૈકલ્પિક ટી પ્લસ ઝીરો સેટલમેન્ટની શરૂઆત કરવામાં આવી. વર્ષ 2026માં NSEએ નેનો-સેક્ધડ સ્તરે ઑર્ડર સ્વીકૃતિની સુવિધા શરૂ કરી, જેનાથી ટ્રેડિંગની ઝડપ અને કાર્યક્ષમતામાં વધુ વધારો થયો.
આશિષકુમાર ચૌહાણે ભારતીય નાણાકીય બજારને ગ્લોબલ માર્કેટ સાથે જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગિફ્ટ નિફ્ટીના વિકાસથી આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે લાંબા સમય સુધી ટ્રેડિંગની સુવિધા ઉપલબ્ધ થઈ છે અને ભારતને વૈશ્ર્વિક નાણાકીય કેન્દ્ર તરીકે મજબૂત બનાવવામાં મદદ મળી છે. તેમણે સોશ્યલ સ્ટૉક એક્સચેન્જને પણ પ્રોત્સાહન આપ્યું છે, જેના દ્વારા નૉન-પ્રૉફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ નિયમિત અને પારદર્શક વ્યવસ્થા હેઠળ મૂડી મેળવી શકે છે.
એસએમઈ અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર પણ તેમની પ્રાથમિકતાઓમાં સામેલ છે. NSE ઇમર્જ પ્લૅટફૉર્મને આધારે અનેક નાની કંપનીઓએ આઇપીઓ મારફત મૂડી ઊભી કરી છે. આથી નાનાં શહેરો અને ટિયર-2 તથા ટિયર-3 વિસ્તારોની કંપનીઓને વિકાસ, નવીનતા અને રોજગાર સર્જન માટે ભંડોળ મેળવવામાં મદદ મળી છે. NSEએ કૉમોડિટી અને એનર્જી માર્કેટમાં પણ વિસ્તરણ કર્યું છે. ઇલેક્ટ્રૉનિક ગોલ્ડ રિસીપ્ટ્સની શરૂઆતથી ભૌતિક સોનાને વધુ પારદર્શક અને નિયમિત નાણાકીય વ્યવસ્થા સાથે જોડવાનો પ્રયાસ થયો છે.
કૉર્પોરેટ ગવર્નન્સ પણ ચૌહાણની નેતૃત્વ વિચારધારાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આશિષકુમાર માને છે કે નાણાકીય બજારનું સૌથી મહત્ત્વપૂર્ણ ઉત્પાદન માત્ર મૂડી નહીં, પરંતુ વિશ્ર્વાસ છે. તેમનો અભિગમ મજબૂત ગવર્નન્સ, પારદર્શક માહિતી અને રોકાણકારોનાં હિતોના રક્ષણ પર આધારિત છે.
ભારતના વિકાસ માટે મૂડી ઊભી કરવી પણ તેમના વિઝનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેમના નેતૃત્વ હેઠળ NSEએ કંપનીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમએસએમઈ અને અર્થતંત્રનાં અન્ય ક્ષેત્રો માટે મોટા પ્રમાણમાં ઇક્વિટી અને ડેટ મૂડી એકત્ર કરવામાં મદદ કરી છે. સામાન્ય ભારતીયોની શૅરબજારમાં વધતી ભાગીદારીને કારણે ઘરેલું બચતનો વધુ હિસ્સો નાણાકીય સંપત્તિમાં પરિવર્તિત થયો છે.
આગામી સમયમાં આશિષકુમાર ચૌહાણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ- aiને નાણાકીય બજાર અને સમગ્ર અર્થતંત્રમાં પરિવર્તન લાવનાર મહત્ત્વપૂર્ણ શક્તિ તરીકે જુએ છે. એનએસઇમાં aiનો ઉપયોગ નિયમનકારી પ્રક્રિયાઓ ઝડપી બનાવવા,દસ્તાવેજોનું વિશ્ર્લેષણ કરવા, એન્જિનિયરોને મદદ કરવા અને સાઇબર સુરક્ષા સુધારવા માટે થઈ રહ્યો છે.
નાણાકીય બજાર ઉપરાંત આશિષકુમાર શિક્ષણ, જાહેર નીતિ અને નાણાકીય સાક્ષરતા ક્ષેત્રે પણ સક્રિય છે. તે વવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી તથા નિયમનકારી સમિતિઓ સાથે જોડાયેલા છે. 2025માં NSE એ 22,900થી વધુ રોકાણકાર જાગૃતિ કાર્યક્રમો યોજ્યા હતા, જેમાં લગભગ 12 લાખ લોકો સુધી નાણાકીય જાગૃતિ પહોંચાડવામાં આવી હતી.
આમ સમગ્ર રીતે જોઈએ તો આશિષકુમાર ચૌહાણની કારકિર્દી ભારતના મૂડી બજારના પરંપરાગત અને વિખરાયેલા તંત્રમાંથી ટેક્નૉલૉજી આધારિત, પારદર્શક અને વ્યાપક રીતે ઉપલબ્ધ નાણાકીય વ્યવસ્થામાં થયેલા પરિવર્તન સાથે જોડાયેલી છે. તેમનું નેતૃત્વ ટેક્નૉલૉજી, ગવર્નન્સ, ઇન્વેસ્ટર્સ કૉન્ફિડેન્સ અને ફાઇનાન્શિઅલ ઇનક્લુઝનને સાંકળે છે. તેમનો મુખ્ય વિચાર એ છે કે મજબૂત નાણાકીય સંસ્થાઓ માત્ર સંપત્તિનું સર્જન જ નહીં, પરંતુ આર્થિક વિકાસના લાભોને સમાજના વધુ મોટા વર્ગ સુધી પહોંચાડવામાં પણ મદદરૂપ થવી જોઈએ.