શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી પવિત્ર અમરનાથ યાત્રામાં આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. તેમજ આ વર્ષે 40 વર્ષનો શ્રદ્ધાળુઓનો રેકોર્ડ તૂટયો છે. જેમાં પ્રથમ પાંચ દિવસમાં જ 1 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.જોકે, શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને પગલે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તેમજ શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે.
શ્રદ્ધાળુઓની આસ્થા યથાવત
આ અંગે મળતી માહિતી મુજબ રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશન વિનાના શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને ગ્લોબલ વોર્મિંગની અસરના લીધે અમરનાથના કુદરતી શિવલિંગની ઉંચાઈ પીગળીને ઘટી રહી છે. તેમ છતાં શ્રદ્ધાળુઓની આસ્થા યથાવત છે.

શિવલિંગ પાંચ જ દિવસમાં તે પીગળી ગયું
આ ઉપરાંત ગત વર્ષે શિવલિંગ સાત દિવસ સુધી યથાવત રહ્યું હતું. જોકે, આ વર્ષે માત્ર પાંચ જ દિવસમાં તે પીગળી ગયું છે. જેના પગલે હવે દર્શન કરનારા શ્રદ્ધાળુઓ હવે બાબા બર્ફાનીના પૂર્ણ દર્શન નહી કરી શકે.
શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં નોંધણી વિના પણ પહોંચ્યા

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અમરનાથ યાત્રાના પ્રથમ ચાર દિવસમાં 55,000 શ્રદ્ધાળુઓ નોંધાયા હતા. જે આંકડો આ વર્ષે 86,000ની પાર પહોંચ્યો છે. જેના પગલે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા સુરક્ષા સહિતની વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં નોંધણી વિના પણ આવી રહ્યા છે.