Tue May 12 2026

Logo

જાણો કોણ છે મનોજ અગ્રવાલ? જેમને સીએમ શુભેન્દુ અધિકારીએ બનાવ્યા બંગાળના નવા 'ચીફ સેક્રેટરી'

2026-05-11 20:53:24
Author: Devayat Khatana
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીએ રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતા મનોજ અગ્રવાલને રાજ્યના નવા મુખ્ય સચિવ (Chief Secretary) તરીકે નિયુક્ત કર્યા છે. લોક ભવન દ્વારા આ અંગે સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. મનોજ અગ્રવાલ અત્યાર સુધી રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) અને ગૃહ તેમજ પહાડી બાબતોના વિભાગના પદન અધિક મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ 1990 બેચના સિનિયર આઈએએસ (IAS) અધિકારી છે અને તેમણે તાજેતરમાં જ રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

અહેવાલો અનુસાર, આ નિમણૂક અંગે ભાજપના સૂત્રોએ પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે અગાઉની સરકારે અનેક વરિષ્ઠ અધિકારીઓને પડતાં મૂકીને આઈએએસ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે નોકરશાહી નબળી પડી હતી. નવી ભાજપ સરકારે આ સ્થિતિને સુધારવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કાર્યરત સૌથી વરિષ્ઠ અધિકારી મનોજ અગ્રવાલને આ મહત્વની જવાબદારી સોંપીને સરકાર દેશના કાયદા અને વહીવટી ગરિમાને પુનઃસ્થાપિત કરવાના પોતાના વચન પર મક્કમ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

મનોજ કુમાર અગ્રવાલ વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. 1990ની બેચના આ અધિકારીએ 3 એપ્રિલ, 2025 ના રોજ પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પદભાર સંભાળ્યો હતો. પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં અનેક મહત્વના હોદ્દાઓ પર રહી ચૂકેલા અગ્રવાલે હાલમાં જ સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીઓ અને SIR ની કામગીરી પર દેખરેખ રાખી હતી. હવે મુખ્ય સચિવ તરીકે તેઓ રાજ્યના સમગ્ર વહીવટી તંત્રનું સુકાન સંભાળશે.