કોલકાતા : પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીના પરિણામોમાં ભાજપની જીત અને ટીએમસીની કારમી હારના સંકેત મળી રહ્યા છે. જેના પગલે મમતા બેનર્જીએ સમગ્ર ચૂંટણીમાં ગોટાળા અને સંસ્થાઓના દુરુપયોગનો ભાજપ પર આરોપ લગાવ્યો છે. તેમણે પરિણામને જનતાનો ચુકાદો નહીં પરંતુ સીટોની લૂંટ ગણાવી હતી. તેમણે ભવિષ્યમાં મજબૂત વાપસી કરવાની વાત કરી છે.
ભાજપે 100 થી વધુ બેઠકો લૂંટી
મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે ભાજપે 100 થી વધુ બેઠકો લૂંટી છે. ચૂંટણી પંચ ભાજપનું કમિશન બની ચૂક્યું છે. આ અંગે મે ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલને ફરિયાદ કરી છે. પરંતુ તેમણે કોઇ કાર્યવાહી નથી કરી. તેમણે આ જીતની કાયદેસરતા પર સવાલ ઉઠાવતા તેને લોકતંત્રની વિરુદ્ધ ગણાવી હતી. તેમજ ચૂંટણી પંચે વડાપ્રધાન, ગૃહ મંત્રી અને કેન્દ્રીય દળોએ સાથે મળીને આ બધુ પાર પાડ્યું છે. આ સંપૂર્ણ રીતે ગેરકાયદે છે. આ ફક્ત લૂંટ, લૂંટ અને લૂંટ છે. અમે ફરી વાપસી કરીશું.
ટીએમસીને રાજ્યમાં સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડ્યો
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 15 વર્ષના લાંબા શાસન બાદ ટીએમસીને રાજ્યમાં સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ચૂંટણીમાં ધાર્મિક ધ્રુવીકરણ એક મુખ્ય પરિબળ તરીકે ઉભરી આવ્યું છે. ભાજપ દ્વારા લગાવવામાં આવેલા તુષ્ટિકરણના આરોપો અને હિન્દુ મતોના એકત્રીકરણ સામે ટીએમસીની પરંપરાગત મતબેંકમાં ગાબડું પડ્યું છે.