Sat May 09 2026

Logo

મમતા બેનર્જીનું સોશિયલ મીડિયા સ્ટેટ્સ ચર્ચાનો વિષય, મુખ્યમંત્રીનો ટેગ યથાવત રાખ્યો

2026-05-09 16:46:10
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા : પશ્ચિમ બંગાળના ટીએમસી અને મમતા બેનર્જીની કારમી હાર થઇ છે. તેની બાદ આજે  સુવેન્દુ અધિકારીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ત્યારે મમતા બેનર્જીનું સોશિયલ મીડિયા સ્ટેટસ ચર્ચાનો વિષય બન્યું છે. મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પરથી પ્રોફાઇલમાંથી  મુખ્યમંત્રી તરીકેનો ટેગ દૂર નથી કર્યો.  મમતા બેનર્જીએ  ફેસબુક અને એક્સ પર પોતાને  મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળ તરીકેનો ટેગ હજુ જાળવી રાખ્યો છે. 

સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર મુખ્યમંત્રીની ટેગ જાળવી રાખ્યો 

ટીએમસીના વડા મમતા બેનર્જીએ પોતાની પ્રોફાઇલમાં કેટલાક ફેરફારો કર્યા છે. તેમણે પોતાના બાયોમાં '15મી, 16 મી અને 17 મી વિધાનસભા' શબ્દ ઉમેર્યો છે. જોકે, 'મુખ્યમંત્રી' ટેગ જાળવી રાખ્યો છે. ચૂંટણીમાં હાર બાદ પણ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો હતો.તેમજ આ વાત તેમણે  સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જાળવી રાખી છે. 

રાજ્યપાલ આર.એન. રવિએ 17મી વિધાનસભાનું વિસર્જન કર્યું 

આ પૂર્વે  રાજ્યપાલ આર.એન. રવિએ 17મી વિધાનસભાનું વિસર્જન કર્યું હતું. આ વિધાનસભાનો કાર્યકાળ 7 મેના રોજ જ પૂર્ણ થયો હતો. રાજ્યપાલે બંધારણની કલમ 174 (2)(b)હેઠળ તેમને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને આ આદેશ જાહેર કર્યો હતો.

મમતા બેનર્જી 2011 થી સતત 15 વર્ષ સુધી  સત્તામાં રહ્યા

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી 2011 થી સતત 15 વર્ષ સુધી  સત્તામાં રહ્યા. વર્ષ 2021માં  તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા.  જોકે, 2026 ની ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો. ભાજપે 293 માંથી 207 બેઠકો જીતીને બહુમતી મેળવી જ્યારે ટીએમસી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ.

મમતા બેનર્જી ભવાનીપુર મતવિસ્તારમાંથી ચૂંટણી હારી ગયા

આ ઉપરાંત  મમતા બેનર્જી પોતે ભવાનીપુર મતવિસ્તારમાંથી ચૂંટણી હારી ગયા હતા. તેમજ  હાર બાદ તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર વોટ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યમાં હવે નવી ભાજપ સરકાર રચાઈ છે અને સુવેન્દુ અધિકારીએ સીએમ તરીકે સુકાન સંભાળ્યું છે.