કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની પ્રથમ કેબિનેટ બેઠકમાં વહીવટીતંત્રને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સરકારે નિવૃત્તિ બાદ કાર્યરત સરકારી અધિકારીઓની નોકરીઓ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.આ અધિકારીઓને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિવૃત્તિ બાદ પણ ફરજ પર રાખવાની મંજૂરી આપી હતી. જેમાં 900 થી વધુ નિવૃત કર્મચારીઓને છૂટા કર્યા છે.
વિભાગોના સચિવને પત્રો મોકલવામાં આવ્યા
આ અંગે મળતી માહિતી મુજબ સીએમ સુવેન્દુ અધિકારીએ મંત્રીમંડળની બેઠક બાદ નિર્દેશ આપ્યો કે વિવિધ બોર્ડ, સંગઠનો અને જાહેર ક્ષેત્રના એકમોના નામિત સભ્યો, ડિરેક્ટરો અને અધ્યક્ષોનો કાર્યકાળ તાત્કાલિક સમાપ્ત થવો જોઈએ. આ અંગે અધિક મુખ્ય સચિવ, મુખ્ય સચિવ અને તમામ વિભાગોના સચિવને પત્રો મોકલવામાં આવ્યા છે.
આ નિર્દેશનો અમલ કરવા સૂચના
આ ઉપરાંત 60 વર્ષની ઉંમર પછી નિવૃતિ બાદ જેમની ફરીથી નિમણૂક થઈ છે અને જેમની સેવા મુદત લંબાવવામાં આવી છે તેમના કિસ્સામાં પણ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં આ નિર્દેશનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે.
વિવિધ વિભાગોમાં 900 થી વધુ સલાહકારો અને OSD કાર્યરત
ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ વિભાગોમાં 900 થી વધુ સલાહકારો અને OSD કાર્યરત છે. જેમની મમતા બેનર્જી સરકારે ફરીથી નિમણૂક કરી હતી. તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કોઈને પણ ખાસ મહત્વ આપવાની જરૂર નથી
મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું કે, ભય વિના કામ કરો અને જો કોઈ સમસ્યા હોય તો મને સીધી જાણ કરો.સરકારનું કામ સરકારની જેમ કરો. તેમણે કહ્યું કે સરકારી કામમાં કોઈને પણ ખાસ મહત્વ આપવાની જરૂર નથી.