કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો ટીએમસીની કારમી હાર અને ભાજપની જીત થઇ છે. રાજ્યમાં ટીએમસીના 15 વર્ષના શાસનના અંત સાથે ભાજપે સત્તા મેળવી છે. જેમાં પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશને સરહદને અડીને આવેલી 44 વિધાનસભા બેઠકનો ફાળો ભાજપની જીત માટે મહત્વનો છે. ભાજપે આ 44 બેઠકમાંથી 28 બેઠક જીતી છે. જેના લીધે આ વિસ્તારના ટીએમસીની લીડ ઘટી હતી અને બેઠકોમાં ઘટાડો થયો હતો. ભાજપે વર્ષ 2021માં આ વિસ્તારમાં માત્ર 17 બેઠકો જીતી હતી. ભાજપે આ વખતે 63 ટકા બેઠકો જીતી છે.
ભાજપે વધારાની 11 બેઠક જીતી
આ વિસ્તારમાં મળેલી બેઠક પર નજર કરીએ તો સમજાશે કે, ભાજપે આ વિસ્તારમાં અગાઉની બેઠકો જાળવી રાખીને વધારાની 11 બેઠક જીતી છે. આ જ વિસ્તારમાં વર્ષ 2021માં ટીએમસીએ 27 બેઠક પર વિજય મેળવ્યો હતો. જે બેઠકોની સંખ્યા આ વખતે 15 થઇ છે. જયારે એક બેઠક રાણીનગર કોંગ્રેસે જીતી છે.
ગેરકાયદે ઘુસણખોરીનો મુદ્દો લોકોને અસર કરી ગયો
ભાજપની આ જીત પાછળ અનેક કારણો છે. પરંતુ નિષ્ણાતો માને છે કે ગેરકાયદે ઘુસણખોરીનો મુદ્દો આ વિસ્તારમાં લોકોને અસર કરી ગયો છે. કારણકે આ વિસ્તારના લોકો પણ ગેર કાયદે ઘુસણખોરોથી પરેશાન હતા. તેમજ ભાજપ અનેક વર્ષોથી બાંગ્લાદેશથી કથિત ઘૂસણખોરી મુદ્દે પ્રચાર કરી રહ્યો છે.ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘૂસણખોરી પર ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાનું વચન પણ આપ્યું હતું. આ ઉપરાંત ભાજપે સરકાર બનાવ્યાના 45 દિવસની અંદર ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ બનાવવાનું કામ ઝડપી બનાવવાનો પણ સંકલ્પ કર્યો હતો. જે કામને પ્રથમ કેબીનેટમાં મંજુરી પણ આપવામાં આવી છે.
સંવેદનશીલ વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત
આ ઉપરાંત રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત બની છે. જેમાંઆ 28 બેઠકો પર ભાજપનો સરેરાશ મતોનું માર્જિન 40,195 મતોનું હતું જે વર્ષ 2021 કરતા બમણાથી વધુ છે. જયારે તેનાથી વિપરીત ટીએમસીનું સરેરાશ વિજય માર્જિન અડધું થઈને 28,504 મતોનું થયું છે.
આ વિસ્તારમાં વધુ મુસ્લીમ મતદારો
તેમજ આ 44 વિધાનસભા મતવિસ્તાર કૂચ બિહાર, જલપાઈગુડી, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર, દાર્જિલિંગ, માલદા, મુર્શિદાબાદ, નાદિયા, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણા જિલ્લાઓમાં છે. આ એવા વિસ્તારો છે જ્યાં મુસ્લિમ વસ્તી ઘણી વધારે છે. તેમજ સરહદી બેઠકોના 15 ટીએમસી ધારાસભ્યોમાંથી 11 મુસ્લિમ છે. જયારે રાણીનગરથી જીતેલા કોંગ્રેસના ધારાસભ્ય ઝુલ્ફીકાર અલી પણ મુસ્લિમ છે.