માર્ચ મહિનાથી જ ગરમીનો પારો અતિશય વધી ગયો છે. બહાર જવાના નામથી જ અકળામણ થાય છે. આમ છતાં દરરોજ કામ પર જવા માટે તો ઘરની બહાર નીકળ્યા વગર છૂટકો નથી. બહાર જઈએ એટલે પરસેવે ન્હાઈ જઈએ છીએ.
આ વર્ષે તો વૈજ્ઞાનિકો પણ વિચારતાં થઈ ગયા છે કે ભારતમાં ઉનાળો આટલો વહેલો કેમ શરૂ થઈ ગયો?
ગરમીને કારણે અનેક તકલીફો થાય છે. એમાં પણ સૌથી વધુ અગત્યનું તો આંખોની કાળજી રાખવાનું છે. આંખોમાં જેટલા પણ ઇન્ફેક્શન થાય છે એ મોટા ભાગે ગરમીમાં જ થાય છે. એથી ઉનાળો આંખોના સ્વાસ્થ્ય માટે સંવેદનશીલ છે. તાપમાન તો વધે જ છે સાથે જ પારજાંબળી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ પણ વધુ સક્રિય થઈ જાય છે. આ જ કારણ છે કે યુવાઓમાં યુવી પ્રોટેક્ટેડ ગ્લાસિસનો ક્રેઝ વધ્યો છે. જે ફેશનની સાથે જ સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.
જાણકારો મુજબ યુવી કિરણો આંખો માટે પણ એટલા જ જોખમી છે જેટલા ત્વચા માટે. લાંબા સમય સુધી તડકામાં ફરવાથી આંખોમાં બળતરા, ડ્રાયનેસ, માથાનો દુખાવો અને ઝાંખું દેખાવાની સમસ્યા થાય છે. એથી જ યુવાઓ ફેશનની સાથે જરૂરી એવી એસેસરિઝ તરફ પણ આકર્ષિત થઈ છે. એમાં જ યુવી પ્રોટેક્ટેડ ગ્લાસિસનો સમાવેશ થાય છે.
વાસ્તવમાં યુવી પ્રોટેક્ટેડ ગ્લાસિસ સામાન્ય કાળા ચશ્માં કરતા અલગ હોય છે. એમાં વિશેષ પ્રકારની લેન્સ લગાવવામાં આવે છે. જેથી સૂર્યના યુવી એ અને યુવી બી કિરણોથી રક્ષણ મળે છે. કેટલાંક ચશ્મામાં તો 400 પ્રોટેક્શન સુધીનો દાવો પણ કરવામાં આવે છે. એનો અર્થ એ થાય છે કે 400 નેનો મીટર સુધીના તમામ અલ્ટ્રાવાયોલેટ કિરણને ફિલ્ટર કરી શકાય છે. આ સ્તર આંખો માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. યુવાઓમાં એની લોકપ્રિયતાનું એક કારણ એ પણ છે કે એ સલામતીની સાથે પર્સનલ સ્ટાઇલનું પણ પ્રતીક બની ગયું છે.
કૉલેજ કેમ્પસ, બાઈક રાઈડિંગ, ટ્રાવેલ અથવા બીચ વેકેશન પર અલગ અલગ પ્રકારનાં સન ગ્લાસિસ જોવા મળે છે. વર્તમાનમાં એવિએટર, ઓવરસાઇઝ્ડ અને સ્પોર્ટેસ ફ્રેમ યુવાઓમાં ટ્રેન્ડ કરે છે. સોશ્યલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર વરાયટીથી ભરેલાં ગ્લાસિસને લઈને સ્ટાઇલિંગ ટીપ્સ આપે છે. યુવાઓને પણ હવે સમજાવા લાગ્યું છે કે સન ગ્લાસિસ તડકાથી બચવા માટે જ નહીં, પરંતુ વ્યક્તિગત નિખારનું પણ માધ્યમ બની ગયા છે.
સૌથી અગત્યનું પરિવર્તન એ આવ્યું છે કે માર્કેટમાં હલકા, ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ફ્રેમ પણ મળે છે. કેટલીક બ્રાન્ડ વાંસ, રિસાઇકલ, પ્લાસ્ટિક અને બાયો આધારિત સામગ્રીથી બનેલી ફ્રેમ લાવે છે. એથી આવી એસરિઝ ફેશનની સાથે સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલનો પણ ભાગ બની જાય છે.
ફ્કત કાળા કે ડાર્ક સન ગ્લાસિસ પહેરી લેેવા પૂરતું નથી. જો એ યુવી પ્રોટેક્ટેડ નહીં હોય તો આંખોને નુકસાન પહોંચાડે છે. એને કારણે આંખોની કીકીને ફેલ કરી શકે છે. એથી ચશ્માં ખરીદતી વખતે એના પ્રોટેક્શનના પ્રમાણને તપાસી લેવું.
ડૉક્ટર્સનું પણ માનવું છે કે જેમને લાંબો સમય સુધી તડકામાં ફરવાનું હોય, બાઈક ચલાવતાં હોય, ખેલાડીઓ, ટ્રાવેલર્સ અને આઉટડોર રહેતા લોકો માટે યુવી પ્રોટેક્ટેડ સન ગ્લાસિસ ખૂબ ઉપયોગી હોય છે.
યુવી પ્રોટેક્ટેડ ગ્લાસિસ ખરીદતી વખતે આ બાબતોનું રાખવું ધ્યાન
સૌથી પહેલા એ ચકાસી લેવું કે ચશ્માંની લેન્સ પર જે યુવી 400 અથવા 100 ટકા યુવી પ્રોટેક્શનનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ ખરું છે કે નહીં. કેમ કે આ સ્તર જ આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સુરક્ષા પ્રદાન કરે છે.
બીજી અગત્યની વાત એ છે કે એમાં પોલરાઇઝ્ડ લેન્સ હોય છે. આ લેન્સ તેજ પ્રકાશ અને રસ્તા તથા પાણીને કારણે પડતાં રિફ્લેક્શનની ચમકને ઘટાડે છે. એનાથી આંખોને આરામ મળે છે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું કે ફ્રેમ હલકી અને મજબૂત હોય. જેથી લાંબા સમય સુધી પહેરવાથી કોઈ તકલીફ ન થાય.
ખરીદવામાં આવેલ સન ગ્લાસિસની ફ્રેમ ચહેરાને અનુકૂળ હોય. યોગ્ય ફ્રેમ જ ચહેરાની સુંદરતા નીખારે છે. સસ્તા અને ગેરેન્ટી વગરના ચશ્માં ખરીદવાથી બચવું. કિંમત ભલે વધારે આપવી પડે પણ ક્વોલિટી પ્રોડક્ટ જ ખરીદવો, જે આંખોના સ્વાસ્થ્ય માટે યોગ્ય રોકાણ ગણાશે.