લખનઉ: અયોધ્યા રામમંદિર દાન ચોરી વિવાદ વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના અયોધ્યા અંગેના નિવેદન પર સીએમ યોગીએ આકરા પ્રહાર કર્યા છે. સીએમ યોગીએ અખિલેશ યાદવને કહ્યું કે તમે તમારો ઇતિહાસ તપાસો તમે રામભક્તો પર ગોળી ચલાવી હતી.
રામ લલ્લાના દર્શન કરો સદબુદ્ધિ મળશે
સીએમ યોગીએ સમાજવાદી પાર્ટી પર હિન્દુ ધર્મ તેમજ વિકાસ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાઓનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે અખિલેશ યાદવ પર નિશાન સાધતા જણાવ્યું કે તમારે હવે પસ્તાવો કરવો જોઈએ અને રામ લલ્લાના દર્શન કરવા જોઈએ. તેનાથી સદબુદ્ધિ મળશે.
કાવડ યાત્રા પર પણ પ્રતિબંધો મૂક્યા હતા.
સીએમ યોગીએ કહ્યું, "આજે પીએમ મોદીના નેતૃત્વમાં રામ ભક્તોની મહેનત અને સમર્પણને કારણે અયોધ્યા ત્રેતાયુગની ભાવનાને જાગૃત કરે છે. ત્યારે હવે તમારા મોંમાં પાણી આવી રહ્યું છે. તમે પોલીસ સ્ટેશનો અને જેલોમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. તમે જ કાવડ યાત્રા પર પણ પ્રતિબંધો મૂક્યા હતા.
હાથરસમાં 22 થી વધુ મંદિરોને સુશોભિત કરવામાં આવ્યા
હાથરસના જનપ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે અહીં 22 થી વધુ મંદિરોને સુશોભિત કરવામાં આવ્યા છે. શું સમાજવાદી પાર્ટીના કાર્યકાળ દરમિયાન આ શક્ય હતું. ત્યારે તો કબ્રસ્તાનો માટે પ્રોટેક્શન વોલ બનાવવા માટે સરકારી નાણાં ખર્ચવામાં આવતા હતા. જ્યારે અમે તે જ ભંડોળનો ઉપયોગ મંદિરો માટે કર્યો છે.
મથુરા-વૃંદાવન અને શ્રી કૃષ્ણના જન્મસ્થળ વિશે વાત કરો
સીએમ યોગીએ કહ્યું, ભગવાન રામના ભક્તોએ અયોધ્યાને પહેલેથી જ શણગાર્યું છે. તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. તેના બદલે પ્રાયશ્ચિત કરો અને રામ લલ્લાના દર્શન કરો. આમ કરવાથી સદબુદ્ધિ મળશે. હવે, મથુરા વિશે બોલો. જો તમે ખરેખર પોતાને ધાર્મિક માનો છો તો મથુરા-વૃંદાવન અને શ્રી કૃષ્ણના જન્મસ્થળ વિશે વાત કરી જુઓ. ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ પણ આદરને પાત્ર છે.
રામ મંદિર દાન વિવાદ: યોગી આદિત્યનાથે ટીકાકારોને આપ્યો જવાબ | Yogi's Reply on Ram Mandir Donations
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 26, 2026
અયોધ્યા રામ મંદિરના દાનને મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાણો શું નિવેદન આપ્યું #યોગીઆદિત્યનાથ #રામમંદિર #અયોધ્યા #દાનવિવાદ #RamMandir… pic.twitter.com/JWM48eQ7Wn
અયોધ્યાના વિકાસ કાર્યો પર ધૂળ નાખવવાનો પ્રયાસ ના કરો
પરંતુ તમારી પાસે હિંમતનો અભાવ છે, કારણ કે તમારી પાસે મુલ્લાઓ અને મૌલવીઓ સામે ઘૂંટણિયે પડવા સિવાય કોઈ એજન્ડા નથી. તેમજ અયોધ્યાના વિકાસ કાર્યો પર ધૂળ નાખવવાનો પ્રયાસ ના કરશો. અયોધ્યા તેની ઓળખ માટે કોઇની પર નિર્ભર નથી.