Wed Jun 17 2026

Logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આંદામાનમાં વીર સાવરકરની પ્રતિમાનું અનાવરણ કર્યું, કહ્યું તેમને તે સન્માન ન મળ્યું જેના તે હકદાર હતા

2025-12-12 21:15:17
Author: Chandrakant Kanoja
Article Image

શ્રી વિજયપુરમ  : હિંદુત્વવાદી નેતા વીર સાવરકરની પ્રતિમાનું આંદામાન અને નિકોબારમાં  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આરએસએસના વડા મોહન ભાગવતની હાજરીમાં અનાવરણ કર્યું  હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે વીર સાવરકરને સામાજિક દુષણોને નાબૂદ કરવાના તેમના પ્રયાસો માટે સન્માન નથી મળ્યું જેના તે હકદાર હતા. તેમણે વીર સાવરકર પ્રેરણા ઉદ્યાનનું  પણ ઉદ્ઘાટન કર્યું.  કેન્દ્રીય ગૃહમંત્રીએ વીર સાવરકરની પ્રશંસા કરી અને આંદામાન અને નિકોબાર ટાપુઓને પવિત્ર ભૂમિ ગણાવી  હતી. જ્યાં સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

વીર સાવરકરે  જીવનના સૌથી મુશ્કેલ દિવસો અહીં વિતાવ્યા હતા  

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે  દેશમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવાના તેમના પ્રયાસો માટે માન નથી મળ્યું જેના તે હકદાર હતા. તેમણે તે સમયે હિન્દુ સમાજમાં પ્રવર્તતા કુરિવાજો  સામે લડત ચલાવી અને સમાજના વિરોધનો છતાં આગળ વધતા રહ્યા. સ્વતંત્રતા પહેલા આંદામાન અને નિકોબાર લાવવામાં આવેલા કોઈપણ વ્યક્તિને તેમના પરિવાર દ્વારા ભૂલી જવામાં આવતો હતો.  કાળા પાણીની સજા ભોગવતા લોકો પરત ફરે તે   વિચારી શકતું ન હતું.  પરંતુ આજે આ સ્થળ ભારતીયો માટે 'તીર્થસ્થાન' બની ગયું છે કારણ કે વીર સાવરકરે  જીવનના સૌથી મુશ્કેલ દિવસો અહીં વિતાવ્યા હતા.  

નેતાજી સુભાષ ચંદ્ર બોઝના યોગદાનને યાદ કર્યું 

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે  સુભાષ ચંદ્ર બોઝના યોગદાનને પણ યાદ કર્યું. તેમણે આંદામાન અને નિકોબાર ટાપુઓની મુક્તિમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને તેમની ભારતીય રાષ્ટ્રીય સેનાના યોગદાનને પણ યાદ કર્યું. તેમણે કહ્યું, આ સ્થળ બીજા એક સ્વાતંત્ર્ય સેનાની, સુભાષ બાબુની સ્મૃતિ સાથે પણ સંકળાયેલું છે. જ્યારે આઝાદ હિંદ ફોજે ભારતને આઝાદ કરવાનો સંકલ્પ કર્યો હતો. ત્યારે તેમણે જે પ્રથમ ભૂમિને મુક્ત કરી તે આંદામાન અને નિકોબાર ટાપુ હતી. તેમણે આ ટાપુઓનું નામ શહીદ અને સ્વરાજ રાખવાનું સૂચન કર્યું  જે પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યો છે. સ્વરાજ દ્વીપ (હેવલોક ટાપુ) અને શહીદ દ્વીપ (નીલ ટાપુ) એ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બે ટાપુઓ છે. જેનું નામ વર્ષ 2018 માં સુભાષ ચંદ્ર બોઝના માનમાં બદલવામાં આવ્યું હતું.