Fri Jun 19 2026

Logo

વડોદરામાં મહી નદીમાં ન્હાવા પડેલા પાંચ મિત્રમાંથી બેના મોત, ત્રણને બચાવી લેવાયા

2026-05-05 13:56:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં આકાશમાંથી વરસતી આગમાંથી રાહત મેળવવા નવ મિત્ર વડોદરા જિલ્લાની મહી નદીમાં ન્હાવા પડ્યા હતા, જેમાંથી પાંચ ઊંડા પાણીમાં ડૂબી રહ્યા હતા, જેમાંથી ત્રણને બચાવી લેવાયા હતા. જ્યારે બે મિત્રના મૃત્યુ નિપજ્યા હતા. મૃતકોના નામ જય જોગલેકર(23) અને કૃષ્ણા રાજપૂત(22) હોવાનું જાણવા મળ્યું છે.
 
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા નજીક આવેલા કોટના બિચ પર આ મિત્રો સાથે મળી ફરવા ગયા હતા. ગરમીથી રાહત મેળવવા પાંચ મિત્ર મહી નદીંમાં કૂદ્યા હતા. થોડે જ દૂર જતા ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. તેમને જોઈ બહાર રહેલા ચાર મિત્રોએ ચીસો પાડી હતી અને મદદ માગી હતી થોડી જ વારમાં સ્થાનિક તરવૈયાઓ મદદે આવ્યા હતા અને યુવાનોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાંથી ત્રણને તો બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ બે મિત્ર પાણીમાં ગરકાવ થઈ જતા તેમના મોત નિપજ્યા હતા. થોડા સમય બાદ તેમના મૃતદેહ બહાર લાવવામાં આવ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટ્મ માટે મોકલવામાં આવ્યા હતા. પરિવારને જાણ થતાં ગમગીની વ્યાપી ગઈ હતી.
 
એક દિવસના પિકનિક માટે ગયેલા મિત્રો સાથે બનેલી દુર્ઘટનાએ પર્યટન સ્થળોએ સાવધાની વર્તવાની જરૂર પર ફરી ભાર મૂક્યો છે.