(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ જગપ્રસિદ્ધ મંદિર સોમનાથના ત્રિવેણી સંગમ તટ નજીક આવેલા બાળ સ્મશાનને સોમનાથ ટ્રસ્ટ દ્વારા માટી અને કચરો નાખી કથિત રીતે બૂરી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આથી નારાજ હિન્દુસમાજે વિરોધ નોંધાવ્યો છે અને હિન્દુ સેવા સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સ્મશાન ન બૂરવાની માગ કરી હતી.
મળતી માહિતી અનુસાર આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આ બાળસ્મશાન દસકાઓથી વેરાવળ-સોમનાથ અને આસપાસ વસેલા ગામોમાં હિન્દુ પરિવારોના નવજાતના અંતિમ સંસ્કાર માટે એક જ જગ્યા છે. તેમની માટે આ મહત્વપૂર્ણ સ્થળ છે.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જે રીતે સ્મશાન આસપાસ કચરો એકઠો કરવામાં આવે છે, તે જોતા સ્મશાન હંમેશાં માટે બંધ કરવાની આશંકા સ્થાનિકોના મનમાં જાગી છે. જો આ સ્મશાન બંધ થશે, તો મૃત બાળકોની અંતિમવિધિ ક્યાં કરવી તે અંગે પરિવારો માટે ગંભીર સમસ્યા ઊભી થશે. સમિતિએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સ્થાનિકોની લાગણીને ધ્યાનમાં લેવામાં આવે, તેવી માગણી પણ કરી હતી.