Wed Jun 17 2026

Logo

ઇન્ડીગોના સંકટ સમયે અમદાવાદ-મુંબઈ એરપોર્ટ પર ટ્રેન બુકિંગની સુવિધા!; IRCTC કાઉન્ટર અને હેલ્પ ડેસ્ક શરૂ

2025-12-07 14:44:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ/મુંબઈ: છેલ્લા ચાર દિવસથી ઇન્ડિગો એરલાઇન સતત સંકટનો સામનો કરી રહી છે, જેના કારણે રાજ્યના અને દેશના વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ફ્લાઇટ્સના સતત વિલંબ અને રદ્દીકરણના કારણે મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવતા અને ઘણાને રડતા પણ જોવા મળ્યા હતા. આજે, ૭ નવેમ્બરના રોજ, એકલા ગુજરાત રાજ્યમાં જ કુલ ૪૩ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હોવાનું નોંધાયું છે, જેના કારણે મુસાફરી યોજનાઓ પર ગંભીર અસર પડી છે.

જોકે, ઇન્ડિગો સંકટ વચ્ચે મુસાફરોને મોટી રાહત આપવાના ઉદ્દેશથી પશ્ચિમ રેલવેએ મહત્ત્વના પગલાં લીધા છે. અમદાવાદ એરપોર્ટ પર પશ્ચિમ રેલવે દ્વારા IRCTC નું કાઉન્ટર ખોલવામાં આવ્યું છે. આ કાઉન્ટર શરૂ થતાં હવે ફ્લાઇટ કેન્સલ થવાને કારણે અટવાયેલા મુસાફરોને ટ્રેન બુકિંગનો વૈકલ્પિક વિકલ્પ સરળતાથી મળી રહેશે. આ વ્યવસ્થા દ્વારા મુસાફરોને તેમની આગળની મુસાફરી ફરી શરૂ કરવામાં મદદ મળી રહી છે.

આ ઉપરાંત, પશ્ચિમ રેલવેએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ T1 અને T2 પર પણ હેલ્પ ડેસ્ક શરૂ કર્યા છે. આ હેલ્પ ડેસ્ક પર રેલવેનો સ્ટાફ હાજર છે, જે મુસાફરોને ટ્રેનની માહિતી આપવા અને બુકિંગમાં સહાય પૂરી પાડવા માટે કાર્યરત છે. રેલવે દ્વારા કરવામાં આવેલા આ સંકલિત પ્રયાસોને કારણે ફ્લાઇટની સમસ્યાઓનો સામનો કરી રહેલા મુસાફરોને ટ્રેન દ્વારા તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં ઘણી સરળતા મળી છે.