નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ટીએમસીમાં સતત ભંગાણ વચ્ચે ટીએમસી નેતાઓ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. આ નેતાઓમાં અભિષેક બેનર્જી સાથે કલ્યાણ બેનર્જી, ડેરેક ઓ'બ્રાયન, મહુઆ મોઇત્રા અને સૌગત રોય સામેલ હતા. જેમાં અભિષેક બેનર્જીએ બળવાખોર સાંસદોના વિલીનીકરણને ગેરબંધારણીય ગણાવ્યું હતું.
સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ
ટીએમસી નેતાઓએ સ્પીકર ઓમ બિરલાને 20 અરજીઓ સુપરત કરી હતી. જેમાં આ 20 બળવાખોર સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી. અભિષેક બેનર્જીએ દલીલ કરી હતી કે સાંસદો જાતે બીજા પક્ષમાં ભળી શકતા નથી અને તેથી તેમને ગેરલાયક ઠેરવવા જોઈએ. તેમજ અમને આશા છે કે લોકસભા સ્પીકર ન્યાય આપશે.
NCPI પાર્ટીનું નામ જે કોઈએ ક્યારેય સાંભળ્યું ન હતું
લોકસભા સ્પીકર સાથે મુલાકાત બાદ અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા માં જોડાવાનો દાવો કરનારા બળવાખોર સાંસદોને ગૃહના સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા જોઈએ. તેમણે કહ્યું, 20 લોકોએ સ્પીકરને મળ્યા અને દાવો કર્યો કે તેમને એક અલગ પાર્ટી તરીકે ગણવામાં આવે. તેમજ પાછળથી અમને જાણવા મળ્યું કે આ સાંસદોએ બીજી પાર્ટી, NCPI પાર્ટીનું નામ જે કોઈએ ક્યારેય સાંભળ્યું ન હતું તેમાં જોડાવાનો દાવો કર્યો હતો.
બંધારણની 10મી અનુસૂચિમાં જોગવાઇ
આ અંગે અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે બંધારણની 10મી અનુસૂચિમાં જણાવાયું છે કે જો કોઈ સભ્ય સ્વેચ્છાએ તેમનું પાર્ટીનું સભ્યપદ છોડી દે છે તો તેઓ સાંસદ તરીકે ગેરલાયક ઠરે છે. તેથી જો તેઓ ચોક્કસ પાર્ટીના પ્રતીક પર ચૂંટાયા હોય અને બે વર્ષ પછી નવી પાર્ટીમાં જોડાવાનો દાવો કરે તો તેમનું સભ્યપદ સમાપ્ત થવું જોઈએ.