Sun Jun 21 2026

Logo

પેટ્રોલ-ડીઝલ પર ગુડ ન્યૂઝ! 8.6 લાખ મેટ્રિક ટન ઓઇલ ભરેલા 3 ભારતીય ટેન્કરે હોર્મુઝ પાર કર્યું, જાણો ક્યાં સુધી પહોંચશે

2026-06-21 15:32:07
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હી: ભારતની સમુદ્રી અને ઊર્જા સુરક્ષાને મોટી સફળતા મળી છે. ભારતીય ધ્વજ ધરાવતા ક્રૂડ ઓઈલના (કાચા તેલના) ત્રણ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) સુરક્ષિત રીતે પાર કરી ગયા છે. આ ટેન્કરો હવે મોટી માત્રામાં મહત્વનો વ્યૂહાત્મક સામાન લઈને ભારતીય બંદરો તરફ આવી રહ્યા છે.

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે દેશના સમુદ્રી હિતોની રક્ષા માટે સરકારના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરતા આ સફળ સફરની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં લખ્યું:

"સુરક્ષિત સફર! ભારતીય ધ્વજ ધરાવતા ક્રૂડ ઓઈલના ત્રણ ટેન્કરો—'દેશ વૈભવ', 'દેશ વિભોર' અને 'સનમાર હેરાલ્ડ'—94 ભારતીય ક્રૂ મેમ્બર્સ (ખલાસીઓ) સાથે 8.6 લાખ મેટ્રિક ટનથી વધુ સામાન લઈને આજે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સફળતાપૂર્વક પસાર થઈ ગયા છે અને ભારત તરફ આગળ વધી રહ્યા છે."

ટેન્કરો ભારતીય બંદરો પર ક્યારે પહોંચશે?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'દેશ વૈભવ', 'દેશ વિભોર' અને 'સનમાર હેરાલ્ડ' નામના આ ત્રણેય જહાજો 24 જૂનથી 1 જુલાઈ વચ્ચે ભારતીય બંદરો પર પહોંચે તેવી આશા છે. આ ભારતના ઊર્જા ક્ષેત્ર (Energy Sector) માટે ખૂબ જ જરૂરી સપ્લાય ચેઈન મૂવમેન્ટ પૂરી થવાનું પ્રતીક છે. 'દેશ વૈભવ' જહાજ 24 જૂનના રોજ વાડિનાર પોર્ટ (બંદર) પર પહોંચે તેવી આશા છે, જ્યારે 'દેશ વિભોર' પણ તે જ દિવસે સિક્કા પોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે. આ સિવાય, ત્રીજું જહાજ 'સનમાર હેરાલ્ડ', જે 20 જૂને હોર્મુઝની સામુદ્રધુની પાર કરી ચૂક્યું હતું, તે 1 જુલાઈએ પારાદીપ પોર્ટ પર પહોંચવાનું છે.

મહિનાઓ પછી હોર્મુઝ વિસ્તારમાં તણાવ ઓછો થયો

ભારતીય જહાજોએ હોર્મુઝની સામુદ્રધુની એવા સમયે પાર કરી છે જ્યારે આ વિસ્તારમાં તણાવ ઓછો થઈ રહ્યો છે. આ પહેલા 18 જૂને, અમેરિકાએ આ વિસ્તારના વિવાદોને શાંત કરવાના હેતુથી મળેલી એક નાની રાજદ્વારી (Diplomatic) સફળતા બાદ, હોર્મુઝ સામુદ્રધુની દ્વારા થતી દરિયાઈ અવરજવર પરના પ્રતિબંધો હટાવી લીધા હતા.

આ નિર્ણયને કારણે તેલના ટેન્કરોને આ મહત્વના રૂટ પર ફરીથી અવરજવર કરવાની મંજૂરી મળી ગઈ છે, જે સુરક્ષાની ચિંતાઓને કારણે મહિનાઓથી મોટાભાગે બંધ હતી.