અમદાવાદઃ સ્વામિનારાયણ સાધુનો વધુ એક લવારો સામે આવ્યો છે. ગણપતિ અને ઘનશ્યામ મહારાજ માસિયાઈ ભાઈ થાય તેવા નિવેદનનો વીડિયો વાયરલ થયો છે.
શું બોલ્યા હતા સ્વામિનારાયણના સાધુ
સ્વામિનારાયણના સાધુનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, દક્ષ પ્રજાપતિની 13 દીકરીઓના લગ્ન ધર્મદેવ સાથે થયા હતા અને એક પુત્રીના લગ્ન ભગવાન ભોળાનાથ સાથે થયા હતા. આ તર્કના આધારે તેમણે દાવો કર્યો કે, ભક્તિ દેવી અને માતા ભવાની સગી બહેનો થાય. જો તેઓ સગી બહેનો હોય તો તેમના સંતાનો એટલે કે ગણપતિ અને ઘનશ્યામ મહારાજ બંને સગા માસિયાઈ ભાઈ થાય.
સાધુ સમાજમાં એવી પણ ચર્ચા છે કે જો સમયાંતરે આવા નિવેદનો અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સનાતન ધર્મના સંતો દ્વારા ઉગ્ર આંદોલન અથવા કાયદાકીય પગલાં પણ લેવામાં આવી શકે છે.
જૂનાગઢના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુએ નારાજગી વ્યકત કરી કહ્યું કે, આમને બુદ્ધિ જેવું છે કે નહીં ? ઘનશ્યામ મહારાજ 200 વર્ષથી છે જ્યારે ગણપતિ તો અનાદિકાળથી છે. અનાદિ દેવને અર્વાચીન સમયના સંત સાથે માસિયાઈ ભાઈ તરીકે સરખાવવા તે અજ્ઞાનતાની પરાકાષ્ઠા છે.