અમદાવાદઃ સુરતમાં બનેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યનું મોત નિપજ્યું હતું જ્યારે સાથે રહેલા બાળકનો બચાવ થયો હતો.
ઘટનાની વિગતો અનુસાર અહીંના મેડિયા ફળિયામાં રહેતા 31 વર્ષીય આશિષ પટેલ, તેમના પત્ની પારૂલ(29) અને તેમના માતા ઉષાબેન(60), દંપતીના સંતાન વેદ સાથે ડોલવણના પાટી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. એક જ બાઈકમાં ચાર જણ સવાર થઈ પરત આવતા હતા ત્યારે વલવાડા-ભોરિયા રોડ પરના ઈંટના ભઠ્ઠા પાસે કારે તેમને ટક્કર મારતા પતિ-પત્ની અને દંપતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દીકરો વેદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, તેને હૉસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત એટલો તીવ્ર હતો કે પારૂલ પટેલ હવામાં લગભગ 15 ફૂટ ઊંચા ફંગોળાયા હતા અને નજીકના એક ભઠ્ઠા પાસે જઈને પડ્યા હતા. ઘટના બાદ સ્થાનિકો એકઠા થયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી.
અકસ્માત સર્જનાર કારચાલક સામે ગ્રામવાસીઓએ ભારે રોષ ઠાલવ્યો હતો અને તેને ઢોરમાર મારી લોહીલુહાણ કર્યા હતા. પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી બાદુ નાનકડા સંબા ગામમાં એક જ પરિવારના ત્રણના મૃતદેહ આવતા આખું ગામ શોકમાં સરી પડ્યું હતું.