સુરતઃ શહેરમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો હતો. સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાં આ ઘટના બની હતી. મંદિરમાંથી વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની અને 20 વર્ષીય જોસના ગઈકાલે સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાં આવેલા બાથરૂમમાંથી મળી આવી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મંદિરના બાથરૂમમાંથી વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી.