સુરતઃ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકીને હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. લિવ ઈન રિલેશનશપમાં રહેતા પ્રેમીના રોજ બરોજના ઝઘડાથી કંટાળીને પ્રેમિકાએ આ ઘાતકી પગલું ભર્યું હતું.
સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભાઠા ગામની ઝૂંપડપટ્ટીમાં છેલ્લા 8 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પ્રેમી-પ્રેમિકા વચ્ચેના સંબંધોનો લોહિયાળ અંત આવ્યો હતો. રોજબરોજના ઝઘડાથી કંટાળીને એક મહિલાએ તેના જ પાર્ટનરની બટાકા છોલવાના ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. મૃતક રાજરત ઉર્ફે રાજુભાઈ યાદવ કોઈ કામ ધંધો કરતો નહોતો. જેના કારણે તેનો પ્રેમિકા સાથે સતત ઝઘડો થતો હતો. બે દિવસ પહેલા થયેલી બોલાચાલીમાં રાજુભાઈ યાદવે ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી અને મારપીટ શરૂ કરી હતી.
મારથી બચવા પ્રેમિકા ભાગી હતી પરંતુ ગુસ્સે ભરાયેલા પ્રેમીએ પીછો છોડ્યો નહોતો. તેને પકડીને મારઝૂડ કરી હતી. આ સમયે પ્રેમિકાનો હાથ ત્યાં વાસણોની વચ્ચે પડેલા બટાકા છોલવાના ચપ્પુ પર પડ્યો હતો. સ્વ બચાવમાં તેણે ગુસ્સામાં પ્રેમી રાજુભાઈને ચપ્પુના ઘા માર્યા હતા. જેના કારણે રાજુભાઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યા હતા.
લોહીના ખાબોચિયામાં પડેલા રાજુભાઈને જોઈને લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી હતી. રાજુભાઈને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઈચ્છાપોર પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.