નવી દિલ્હી: છત્તીસગઢના કેટલાક ગામોની બહાર પાદરીઓ અને ધર્માંતરિત ખ્રિસ્તીઓના પ્રવેશ પર પ્રતિબંધ હોવાના લખાણ સાથે કેટલાક હોર્ડિંગ્સ લગાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો, આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આવા હોર્ડિંગ્સ હટાવવા માટેની અરજી ફગાવી દીધી છે.
છત્તીસગઢની કાંકેર જિલ્લાની કેટલીક ગ્રામ પંચાયતોએ ગામના પ્રવેશ દ્વાર બહારના ધાર્મિક ઉપદેશકોને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા બોર્ડ લગાવ્યા હતા, આવા હોર્ડિંગ્સ હટાવવા છત્તીસગઢ હાઇકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં છત્તીસગઢ હાઇકોર્ટે બે અલગ અલગ અરજીઓ ફગાવી દીધી હતી.
છત્તીસગઢ હાઇકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી હતી.
છત્તીસગઢ હાઇકોર્ટે કહ્યું હતું કે લાલચ આપીને કે છેતરપિંડી કરીને ધાર્મિક પરિવર્તન થતું રોકવા માટે હોર્ડિંગ્સ લગાવવાના પગલાને ગેરબંધારણીય ન કહી શકાય.
હાઈકોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું હતું જકે ગામની પરંપરાઓનું જતન કરવા માટે PESA કાયદા હેઠળ ગ્રામ સભાઓને આવા નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી છે.
હાઈકોર્ટે કહ્યું હતું કે, "બંધારણ દેશના દરેક નાગરિકને પોતાના ધર્મનો સ્વીકાર, પાલન અને પ્રચાર કરવાની સ્વતંત્રતાની ખાતરી આપે છે, પરંતુ બળજબરી, લાલચ અથવા છેતરપિંડી દ્વારા આ સ્વતંત્રતાનો દુરુપયોગ ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. સામૂહિક ધર્માંતરણની ઘટનાઓ આદિવાસી સમુદાયોની સાંસ્કૃતિક ઓળખને અસર કરી શકે છે, જેનાથી સામાજિક સૌહાર્દને ખલેલ પહોંચી શકે છે.