જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ અને તેમની વચ્ચે બનતા ચોક્કસ ખૂણાઓનું વિશેષ મહત્વ રહેલું છે. દૃગ પંચાંગ અનુસાર સાતમી ઓગસ્ટ, 2026ના રોજ સૂર્ય અને શનિ દેવ એકબીજાથી 120-130 ડિગ્રીના ખૂણા પર સ્થિત થવા જઈ રહ્યા છે, જેનાથી અત્યંત શુભ અને ફળદાયી 'નવપંચમ યોગ'નું નિર્માણ થઈ રહ્યું છે.
સામાન્ય રીતે સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્રનો સંબંધ હોવા છતાં બંને વચ્ચે શત્રુતાનો ભાવ માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ બંને ગ્રહ 120 ડિગ્રીના નવપંચમ કોણમાં આવે છે, ત્યારે શત્રુતાનો નકારાત્મક પ્રભાવ નાશ પામે છે. આ યોગ વ્યક્તિને અપાર સફળતા, પદ-પ્રતિષ્ઠા અને ધન-ધાન્યનો લાભ અપાવે છે. 7 ઓગસ્ટથી બનતા આ યોગથી 4 રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે, ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
મેષઃ
નવપંચમ યોગ મેષ રાશિના જાતકોના કરિયર અને સામાજિક જીવનમાં નવા આયામ જોડશે. નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા મનપસંદ સ્થળે બદલી (Transfer) થવાના પ્રબળ યોગ છે. ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. અટકેલા સરકારી કામો પૂર્ણ થશે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે.
સિંહઃ
સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્ય દેવ છે. સૂર્ય-શનિનો આ સંબંધ સિંહ રાશિ માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થશે. વેપારીઓને મોટી ડીલ મળવાથી ભવિષ્યમાં મોટો આર્થિક લાભ થશે. કોર્ટ-કચેરીના મામલા તમારા પક્ષમાં આવી શકે છે અથવા વડીલોપાર્જિત સંપત્તિમાંથી લાભ મળી શકે છે. અટકેલા નાણાં પરત મળતાં બેંક બેલેન્સ વધશે.
તુલાઃ
આ યોગ તુલા રાશિના જાતકો માટે ભાગ્યના નવા દ્વાર ખોલશે. આ સમયગાળો તમારા માટે અનુકૂળ રહેશે. આવકના એકથી વધુ સ્ત્રોત ઊભા થશે, જેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. શેરબજાર, જમીન કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે. કૌટુંબિક મતભેદો ઉકેલાશે અને સંબંધોમાં મધુરતા આવશે.
ધનઃ
સૂર્ય-શનિનો નવપંચમ યોગ ધન રાશિના જાતકોની બુદ્ધિમત્તા અને પરાક્રમમાં વૃદ્ધિ લાવશે. નવી નોકરી કે જોબ ચેન્જની શોધમાં રહેલા લોકોને સારી કંપનીમાંથી ઓફર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળશે અને વિદેશ જવાના પ્રયાસો સફળ થશે.
નવપંચમ યોગનું પૂર્ણ શુભ ફળ મેળવવાના ઉપાયો:
- દરરોજ સવારે સૂર્ય દેવને તાંબાના લોટાથી જળ અર્પણ કરવું અને ઓમ્ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો.
- શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો.
- જરૂરિયાતમંદ કે ગરીબ વ્યક્તિને કાળા ચણા અથવા અડદની દાળનું દાન કરવું.