અમદાવાદઃ સમગ્ર દેશમાં રખડતા શ્વાનની વિકટ સમસ્યા છે અને સુપ્રીમ કોર્ટે પણ સખત શબ્દોમાં ટકોર કરી છે અને આદેશો પણ આપ્યા છે, છતાં શ્વાનનો ત્રાસ યથાવત છે. સૌરાષ્ટ્રના મોરબીમાં ફરી શ્વાનનો ભોગ એક આઠ વર્ષનો બાળક બન્યો હતો. આ સાથે શહેરમાં ત્રણ દિવસમાં 20 જેટલા કેસ શ્વાન કરડવાના નોંધાયા છે.
શહેરના જેતપર રોડ પર રહેતા અને સિરામિક ફેક્ટરીમાં શ્રમિક તરીકે કામ કરતા પરિવારના કૃપાલ માલવીયા નામના બાળકને ફેક્ટરીના પ્રિમાઈસિસમાં જ શ્વાને ફાડી ખાધો હોવાનું જાણવા મળ્યું હતું. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં માત્ર ત્રણ દિવસમાં લગભગ 20 જેટલા કેસ શ્વાન કરડવાના નોંધાયા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર શ્વાનોના ત્રાસથી શહેરને બચાવવા મોરબી મનપાએ કોઈ પગલા લીધા નથી અને આવી ઘટનાઓની સતત અવગણના થઈ રહી છે. મોરબી મનપાના અધિકારીઓ સાથે વાત થઈ શકી નથી.