નવી દિલ્હી: ડિજિટલ યુગના સમયમાં આજે અનેક સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે. સાયબર ગઠિયાઓ લોકોને પોતાની જાળમાં ફસાવા માટે નિતનવા કિમિયાઓએ અપનાવે છે, ત્યારે આ મુદ્દો સંસદમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે ગૃહને આ મુદ્દે ચિંતન કરવા હાકલ કરી હતી.
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ડિજિટલ ફ્રોડના વધતા જતા કિસ્સાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા સરકારનું ધ્યાન દોર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, નિર્દોષ નાગરિકોને નિશાન બનાવીને તેમની આજીવનની કમાણી ઠગી લેવામાં આવે છે, જે ખરેખર અત્યંત ચિંતાજનક બાબત છે. ગોહિલે વધુમાં ઉમેર્યું કે મહેનતથી પૈસા કમાનારા અને સમજદારીપૂર્વક બચત કરનારા સામાન્ય લોકો જ્યારે આવા ફ્રોડનો શિકાર બને છે, ત્યારે તંત્રની કાર્યવાહી પણ તેમને વધુ મુશ્કેલીમાં મૂકે છે.
डिजिटल फ्रॉड के मामले वास्तव में बहुत चिंताजनक हैं। निर्दोष नागरिकों को निशाना बनाकर उनकी जीवन भर की कमाई ठगी जा रही है। मेहनत से पैसे कमाने और उसे समझदारी से बचत करने वाले व्यक्ति के खाते में यदि कोई फ्रॉड व्यक्ति कुछ रुपये भेज देता है, तो पूरे अकाउंट को फ्रीज कर दिया जाता है,… pic.twitter.com/nvgpoOnyEh
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) April 19, 2026
વર્તમાન સ્થિતિ અંગે ટીકા કરતા તેમણે સૂચન કર્યું હતું કે, જો કોઈ છેતરપિંડી કરનાર વ્યક્તિ અન્યના ખાતામાં ભૂલથી કે જાણીજોઈને થોડી રકમ મોકલે, તો આખા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવું તે જરાય ઉચિત નથી. તેના બદલે, ખાતાધારકના ખાતામાં જે રકમ ખોટી રીતે જમા થઈ હોય, માત્ર તેટલી જ રકમને ફ્રીઝ કરવી જોઈએ અને બાકીનું ખાતું સામાન્ય રીતે ચાલુ રાખવા દેવું જોઈએ. ગોહિલે આક્ષેપ કર્યો હતો કે સરકાર ડિજિટલ ફ્રોડ કરનારા ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે અને સામાન્ય જનતાને બિનજરૂરી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.