મુંબઈ: વિકેટકીપર અને રાઈટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન સંજુ સેમસને રવિવારે કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે મૅચ-વિનિંગ અણનમ 97 રન કર્યા બાદ મેદાન પર જે રીતે સેલિબ્રેશન કર્યું એને કારણે આઈસીસીના મૅચ-રેફરી જાવાગલ શ્રીનાથ તેની સામે કદાચ પગલું ભરશે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની આ ક્વૉર્ટર ફાઇનલ સમાન મૅચમાં સૅમસને 50 બૉલમાં ચાર સિક્સર અને બાર ફોરની મદદથી અણનમ 97 રન કરીને ભારત (India)ને શાનદાર વિજય અપાવ્યો હતો અને હવે ગુરુવારની ઇંગ્લૅન્ડ સામેની વાનખેડેની સેમિ ફાઇનલમાં તેની બૅટિંગ જોવા માટે કરોડો ચાહકો રાહ જોશે.
વાત એવી છે કે સૅમસન (Samson) મૅચ-વિનિંગ ઈનિંગ્સ રમી લીધા પછી હેલ્મેટ મેદાન પર ફેંકીને ઘૂંટણિયે (Knee) બેઠો હતો અને તેણે ઈશ્વરનો આભાર માન્યો હતો.
મૂળ વાત એ છે કે સૅમસને હેલ્મેટ ફેંકી એ આઈસીસીની આચાર સંહિતાના લેવલ-1 નિયમના ઉલ્લંઘન સમાન છે. આ નિયમ અનુસાર કોઈ પણ ખેલાડી કે મૅચ સાથે સંબંધિત કોઈ પણ વ્યક્તિ ક્રિકેટને લગતા કોઈપણ સાધનનો અનાદર ન કરી શકે. હવે આ ગેરવર્તન બદલ ખેલાડીને (સૅમસનને) પેનલ્ટી કરવી કે નહીં એનો આધાર મૅચ-રેફરી શ્રીનાથ પર છે. સામાન્ય રીતે આવા કિસ્સામાં ખેલાડીને મૅચ ફીના 50% સુધીનોનો દંડ થાય છે અથવા તેના નામે એક કે બે ડી-મેરિટ પોઇન્ટ લખવામાં આવે છે.
કેટલાક અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે સૅમસને વર્લ્ડ કપ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની મૅચમાં મેદાન પર જે રીતે ધાર્મિક લાગણી બતાવી એ બદલ પણ તેને ઠપકો મળી શકે છે.