સોમનાથઃ સોમનાથ મંદિરના દર્શન કરવા જતા લોકો માટે અહીંનો દરિયો પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. દરિયાકિનારે બનેલો સમુદ્રદર્શન પથ - વૉક વે દોઢ કિલોમીટર લાંબો છે અને 27 ફૂટ પહોળો છે. આ વોક વે પચાસ કરોડના ખર્ચે તૈયાર થયો છે. ત્યાં બાઇનોક્યુલર તેમજ સાઇકલિંગની પણ સુવિધા રાખવામાં આવી છે. વૉક વે જવા માટે હાલ બે દ્વાર રાખવામાં આવ્યા છે. હમીરજી ગોહિલનું બાવલું છે તે લક્ષ્મીનારાયણ મંદિર પાસેથી એક રસ્તો છે.
બીજો રસ્તો સોમનાથ પોલીસ સ્ટેશન અને અન્નક્ષેત્ર સામેથી પસાર થાય છે. રવિવાર હોય કે દિવાળીની રજાઓ હોય ત્યાં ટિકિટ લેવા માટે પડાપડી થાય છે. લોકોને લાઇનમાં ઊભા રહેવું પડે છે.
સોમનાથમાં સમુદ્રદર્શન પથ - વૉક વેને પ્રસાદ (તીર્થયાત્રા કાયાકલ્પ તેમજ આધ્યાત્મિક, ધરોહર સંવર્ધન અભિયાન - પિલ્ગ્રિમેજ રેજુવેનેશન ઍન્ડ સ્પિરિચ્યુઅલ, હેરિટેજ ઑગમેન્ટેશન ડ્રાઇવ) હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.
20 ઑગસ્ટ 2014ના રોજ વડા પ્રધાન મોદી દ્વારા સમુદ્રદર્શન પથ ઉપરાંત સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને જૂના સોમનાથના નવનિર્મિત પરિસરનું ઉદ્ઘાટન કરાયું હતું.
આ અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, "2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા એ પછી તેમણે તમામ ધર્મોનાં તીર્થસ્થળોને પ્રસાદ યોજના હેઠળ લાવીને ત્યાં માળખાગત સુવિધા વિકસાવવાને મહત્ત્વ આપ્યું છે."