Mon May 25 2026

Logo

વિજય સરકારમાં મંત્રી 29 વર્ષની કિર્તના ધારાસભ્ય તરીકે શપથ ન લઈ શકી, કારણ જાણીને ચોંકી જશો ?

2026-05-12 10:55:00
Author: Mumbai Samachar Team
Article Image

ચેન્નઇઃ 29 વર્ષની એસ. કીર્તના, જે વિજયની કેબિનેટમાં સૌથી નાની ઉંમરની મંત્રી બનવાની છે, તે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે સ્ટેજ તરફ ચાલી રહી છે. હજારો લોકોની ભીડ તેને નિહાળી રહી છે. મુખ્યમંત્રી વિજય મંચ પર બેઠા છે અને ગર્વથી તેમની આ યુવા મંત્રી સામે જોઈ રહ્યા છે.

પરંતુ, જેવી તે શપથ લેવા માટે મંચ પર પહોંચે છે, ત્યારે તેને અહેસાસ થાય છે કે ઉતાવળમાં તે તેના અસલી દસ્તાવેજો અને શપથ લેવા માટેના જરૂરી કાગળો ઘરે અથવા ઓફિસમાં ભૂલી આવી છે!

શપથ ગ્રહણ સમયે શું બન્યું?

સોમવારે રાજ્ય વિધાનસભામાં વિજયના નેતૃત્વ હેઠળની TVK પાર્ટીના એસ. કીર્તના સાથે બરાબર એવું જ થયું જેની આપણે કલ્પના કરી હતી. તેઓ તેમનું 'સર્ટિફિકેટ ઓફ ઇલેક્શન' (ચૂંટણી જીત્યાનું પ્રમાણપત્ર) રજૂ કરી શક્યા ન હતા. શપથ લેવા માટે આ પ્રમાણપત્ર રજૂ કરવું અનિવાર્ય (જરૂરી) શરત છે.

વિધાનસભામાં શપથ ગ્રહણ

જ્યારે વિધાનસભાના મુખ્ય સચિવ કે. શ્રીનિવાસને માઈક્રોફોન પર કીર્તનાના નામની જાહેરાત કરી અને તેમને શપથ લેવા માટે આમંત્રિત કર્યા, ત્યારે તેઓ મંચ (પોડિયમ) તરફ ચાલ્યા.આ મંચ મુખ્યમંત્રીની ખુરશીની બરાબર સામે એક બાજુએ આવેલો હતો. નિયમ મુજબ, જે ધારાસભ્યો શપથ લેતા હોય છે, તેમનું મુખ 'પ્રોટેમ સ્પીકર' (કામચલાઉ અધ્યક્ષ)ની ખુરશી તરફ હોવું જોઈએ.

એસ. કીર્તનાનો ઇલેક્શન સર્ટિફિકેટ ઇશ્યૂ

જેવા કીર્તના પોડિયમ (મંચ) પાસે પહોંચ્યા, સચિવ શ્રીનિવાસને હાથ ઊંચો કરીને તેમની પાસે ચૂંટણી જીત્યાનું પ્રમાણપત્ર માંગ્યું. આ દ્રશ્ય વિધાનસભાની કાર્યવાહીના લાઈવ ટેલિકાસ્ટમાં સ્પષ્ટ જોઈ શકાયું હતું. જોકે, તેમની પાસે તે સમયે પ્રમાણપત્ર નહોતું. તેમણે શ્રીનિવાસનને શું જવાબ આપ્યો તે જાણી શકાયું નથી, પરંતુ તેમણે શપથ લીધા વગર જ પાછા ફરવું પડ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે, "એવું લાગે છે કે તેમની પાસે તે સમયે ચૂંટણીનું પ્રમાણપત્ર તૈયાર નહોતું. સર્ટિફિકેટ સબમિટ ન કરી શકવાને કારણે, વરિષ્ઠ અધિકારીએ તેમને નમ્રતાપૂર્વક શપથ લેવાની ના પાડી દીધી હતી."

આગળ શું થશે? 

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે પણ તેઓ તેમનું ચૂંટણી પ્રમાણપત્ર જમા કરાવશે, ત્યારે તેઓ શપથ લઈ શકશે.

કોણ છે કિર્તના?

મુખ્યમંત્રી જોસેફ સી. વિજયના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં કુલ 9 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કીર્તનાની સાથે એન. આનંદ, આધવ અર્જુના, કે.એ. સેંગોટ્ટયન, પી. વેંકટરામનન, આર. નિર્મલકુમાર, રાજમોહન, ટી.કે. પ્રભુ, કે.જી. અનુરાજ અને અન્ય 8 મહાનુભાવોએ પણ મંત્રી પદના શપથ લીધા.