આંદામાન મહાસાગરના સમુદ્રી જળમાર્ગમાં રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને લઈને જઈ રહેલી બોટ પલટી જતા આશરે 250 લોકો લાપતા થયા હોવાની આશંકા છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી કમિશને નિવેદન આપતા કહ્યું હતું કે, આ બોટ દક્ષિણ બાંગ્લાદેશના ટેક્નાફથી મલેશિયા માટે રવાના થઈ હતી.
બોટ ક્ષમતા કરતા વધારે પ્રવાસી હતા
ભારે પવન અને અસ્થિર સમુદ્રી જળમાર્ગ, વધારે પડતી ભીડને કારણે નૌકા ડૂબી ગઈ હતી. પ્રાથમિક તપાસ અનુસાર આ બોટમાં કુલ 280 લોકો બેઠેલા હતા. લાપતા થયેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. એવું પણ જાણવા મળ્યું હતું કે,આ બોટમાં મોટી સંખ્યામાં રોહિંગ્યા પણ બેઠા હતા. આશંકા એવી પણ સેવાઈ રહી છે કે, આ બોટમાં બેઠેલા રોહિંગ્યા શરણાર્થી બાંગ્લાદેશના કોક્સ માર્કેટમાં સ્થિત એક શિબિરમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મ્યાનમારમાં રખાઈન પ્રાંતથી વિસ્થાપિત મોટી સંખ્યામાં શરણાર્થી દયા આવી જાય એવી સ્થિતિમાં રહે છે.
ડૂબી રહેલા કેટલાક લોકોને બચાવાયા
બાંગ્લાદેશ તટરક્ષક દળે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં ઈન્ડોનેશિયા જઈ રહેલા એક જહાજમાંથી 9 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. દળના પ્રવક્તા કમાન્ડર સબ્બીર આલમ સુઝાને જણાવ્યું હતું કે, આંદામાનના સમુદ્રી જળવિસ્તારમાં કેટલાક લોકો ડૂબી રહ્યા હતા. એમને પછીથી બચાવી લેવામાં આવ્યા હતા. પછી એમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.