રાજકોટ: રાજકોટના આજી ડેમમાં નહાવા પડેલા ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ આજી ડેમના કાંઠા પર આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા ચાર લોકો ડૂબી જતા પિતા પુત્ર સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે એક વ્યકિતની શોધખોળ હજુ ચાલુ છે. ચાલી રહી હતી. આ ઘટના બાદ ડેમ કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ આજી ડેમમાં 2જી મેના રોજ બપોરના સમયે ચાર વ્યક્તિઓ ડૂબ્યા હોવાની જાણકારી મળતા જ સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો અને તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ત્રણ વ્યક્તિઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ કમનસીબે તેઓને બચાવી શકાયા નહોતા.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ લોકોની ઓળખ ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા તરીકે કરવામાં આવી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.