Thu Sep 03 2026

Logo

રાજકોટમાં માનવતા શરમાઈ: સાંકળે બાંધેલા શ્વાનને લાકડીએ માર્યો, બચાવવા આવેલી મહિલાને પણ ન છોડી

2026-04-25 22:18:37
Author: Devayat Khatana
રાજકોટમાં માનવતા શરમાઈ: સાંકળે બાંધેલા શ્વાનને લાકડીએ માર્યો, બચાવવા આવેલી મહિલાને પણ ન છોડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ
: માણસ માણસાઈ મૂકી ક્યારે પશુતા બતાવી દે તે કહેવું મુશ્કેલ છે. રાજકોટના જામગનર રોડ પર આવેલા ઘટેશ્વર નજીક પિતા-પુત્રએ સાંકડથી બાંધેલા શ્વાનને લાકડીઓ વડે માર માર્યો હતો. એટલું જ નહીં પણ શ્વાનને બચાવવા આવેલી મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂક કરી તેમને પણ માર માર્યો હતો. 

ઘંટેશ્વરમાં આવેલી કલ્યાણ સોસાયટીમાં ક્રિનાબહેન નામની એક મહિલા શેરીમાં શ્વાનોને ખાવાનુ આપતી હોય છે. આથી શ્વાન તેમના ઘર પાસે આટા મારતા હોય છે. આજે ક શ્વાનને તેમણે તેમના ઘરના ડેલા સાથે સાંકડથી બાંધ્યો હતો અને તેઓ ઘરકામમાં વ્યસ્ત થઈ ગયા હતા. 

દરમિયાન આ જ સોસાયટીમાં રહેતા બાપ-દીકરાએ શ્વાન પર લાકડીઓ વરસાવી હતી. શ્વાનનો અવાજ આપતા મહિલા બહાર દોડી આવ્યા હતા તો તેમના પર પણ વાર કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

ત્યારબાદ મહિલાને નજીકના હેલ્થ સેન્ટરમાં અને શ્વાનને કરૂણા જીવદયા સંસ્થાએ સારવાર આપી હતી. ઘટનાનો વીડિયો વાયરલ થતાં પ્રાણીપ્રેમીઓ મુંજકા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધી સખત પગલા લેવાની માગણી કરી હતી.