Mon May 11 2026

Logo

હેડિંગ- ઘણાં રૂટ્સ પર ફ્લાઇટથી નીકળી જશે ટ્રેન સર્વિસ, અશ્વિની વૈષ્ણવે કરી મોટી વાત

2026-05-11 16:41:00
Author: Mumba Samachar Team
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2025-26 માટે નક્કી કરેલા બજેટના 98 ટકા ફેબ્રુઆરીના અંત સુધીમાં ખર્ચ કરી દીધા હતા. આ બાબત પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ (કામગીરી) ને દર્શાવે છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, આવનારા સમયમાં દેશના ઘણા રૂટ્સ પર ટ્રેન સેવાઓ ફ્લાઈટ્સ (વિમાન સેવા) કરતા પણ આગળ નીકળી જશે.

ગયા નાણાકીય વર્ષમાં લગભગ પૂરેપૂરો કેપિટલ એક્સપેન્ડિચર (મૂડી ખર્ચ) માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં વપરાઈ ગયો હતો. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા સુધીમાં અંદાજે 98 ટકાથી વધુ ખર્ચ કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ અમારે ખર્ચની ગતિ પર થોડો અંકુશ રાખવો પડ્યો હતો, જેથી નાણાકીય વર્ષનો અંત સંતુલિત રીતે કરી શકાય.

તેમણે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 49,000 કિલોમીટર રેલ્વે ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન (વીજળીકરણ) કરવામાં આવ્યું છે, જે જર્મનીના આખા રેલ નેટવર્ક કરતા પણ વધારે છે. તેમજ, 36,000 કિલોમીટર નવા રેલ્વે ટ્રેક ઉમેરવામાં આવ્યા છે, જે સ્વિટ્ઝર્લેન્ડના રેલ નેટવર્ક કરતા લગભગ છ ગણા છે. આ નવા રૂટ્સ પર મુસાફરીના સમયમાં ઘણો ઘટાડો થશે, જેના કારણે લોકો હવાઈ મુસાફરીને બદલે ટ્રેનને વધુ પસંદ કરશે.

28 મિનિટમાં પહોચી જવાશે મુંબઇથી પુણે

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકાર મુંબઈ અને પુણે વચ્ચે એક નવો કોરિડોર વિકસાવી રહી છે, જેનાથી મુસાફરીનો સમય ઘટીને માત્ર 28 મિનિટનો થઇ જશે. પુણેથી હૈદરાબાદનો સમય 1 કલાક 55 મિનિટ અને હૈદરાબાદથી બેંગલુરુનો સમય લગભગ બે કલાકનો થઇ જશે.

વૈષ્ણવે કહ્યું કે આવા રૂટ્સ પર કોઈ પણ ફ્લાઈટ સેવાને મહત્વ આપશે નહીં. આ વિસ્તારો એવિએશન (વિમાન) કંપનીઓ માટે લગભગ ખતમ થઈ જશે. જે લોકો એવિએશન કંપનીઓમાં રોકાણ કરવા માંગે છે, તેમણે અત્યારથી જ સમજી લેવું જોઈએ કે આ રૂટ્સ પર 99 ટકા ટ્રાફિક રેલવે દ્વારા થશે.

અશ્વિની વૈષ્ણવે ઉમેર્યું કે બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચે મુસાફરીનો સમય ઘટીને 78 મિનિટ થઈ જશે, જેનાથી આ બંને શહેરો લગભગ એક જોડાયેલા મહાનગર (મેગાસિટી) જેવા બની જશે. આ ઉપરાંત, દિલ્હીથી વારાણસીની મુસાફરી 3 કલાક 50 મિનિટમાં પૂરી થશે, જ્યારે દિલ્હીથી લખનઉની મુસાફરી લગભગ બે કલાકમાં શક્ય બનશે.