શરીરના વિકાસ, સ્નાયુઓની મજબૂતી અને કોષોના કામ કરવા માટે પ્રોટીન એક અનિવાર્ય પોષક તત્વ છે. ખાસ કરીને નાના બાળકો માટે તે ખૂબ જ મહત્વનું છે, કારણ કે આ ઉંમરે તેમનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થતો હોય છે. જો બાળકોને યોગ્ય માત્રામાં પ્રોટીન ન મળે, તો તેમના સર્વાંગી વિકાસ પર ગંભીર અસર પડી શકે છે.
કયા કારણો હોય છે જવાબદાર?
બાળકોમાં પ્રોટીનની ઉણપ પાછળ અસંતુલિત આહાર, સતત જંક ફૂડ ખાવાની આદત અને પોષણ પ્રત્યેની જાગૃતિનો અભાવ મુખ્ય કારણો બની રહે છે. જે બાળકો વારંવાર બીમાર પડે છે અથવા જે ખૂબ ઓછો ખોરાક લે છે, તેમનામાં આ ખતરો વધુ રહે છે. ઘણીવાર ખાવાપીવાની ખોટી આદતોને કારણે બાળકો જરૂરી પોષણથી વંચિત રહી જાય છે.
શું છે લક્ષણો?
પ્રોટીનની ઉણપના લક્ષણો તરત જ નથી દેખાતા, પરંતુ તે ધીમે ધીમે નજર સામે આવે છે. આવા બાળકોમાં નબળાઈ અને થાક જલ્દી અનુભવાય છે. ઉંમર મુજબ વજન અને ઊંચાઈ ન વધવી, સ્નાયુઓ ઢીલા પડવા, વાળ ઉતરવા અને ત્વચા શુષ્ક થઈ જવી એ પ્રોટીનની ઉણપના મુખ્ય સંકેતો છે. આ ઉપરાંત, ઘા રૂઝવવામાં સમય લાગવો એ પણ એક મોટું લક્ષણ છે.
વારંવાર બીમાર પડે છે બાળક?
પ્રોટીનની ઉણપથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) નબળી પડે છે, જેના કારણે તેઓ વારંવાર શરદી-ખાંસી કે અન્ય ચેપનો શિકાર બને છે. તેની અસર માત્ર શરીર પર જ નહીં, પણ મગજ પર પણ પડે છે. પ્રોટીન ઓછું હોવાથી બાળકની શીખવાની અને સમજવાની ક્ષમતા ઘટે છે, જેનાથી અભ્યાસ અને રોજિંદા કામોમાં તેમનો આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે.
શું છે તેનો ઉપાય?
આ ઉણપને દૂર કરવા માટે બાળકના રોજિંદા આહારમાં દૂધ, દહીં, પનીર, કઠોળ, ઈંડા, સોયા અને ડ્રાયફ્રૂટ્સ જેવી પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. બાળકોને પેકેજ્ડ અને જંક ફૂડથી બને તેટલા દૂર રાખવા જોઈએ, કારણ કે તેમાં પોષક તત્વો નહિવત હોય છે. આહારમાં વિવિધતા લાવવાથી બાળક હોંશે હોંશે પૌષ્ટિક ખોરાક લેશે.
ખોરાકની સાથે આ પણ જરૂરી
માત્ર ખોરાક જ નહીં, પણ બાળકના શારીરિક વિકાસ માટે રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ પણ એટલી જ જરૂરી છે. જો બાળક સક્રિય રહેશે અને તેને યોગ્ય પોષણ મળશે, તો તેનું શરીર મજબૂત બનશે અને વિકાસમાં કોઈ અવરોધ આવશે નહીં. માતા-પિતાએ બાળકના આહાર અને વર્તનમાં આવતા નાના ફેરફારો પર સતર્ક રહેવું જરૂરી છે.