Sun Jun 28 2026

Logo

PM મોદીને મળ્યું વધુ એક સન્માન, સેશેલ્સે 'ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન' થી નવાજ્યા, જાણો શું છે તેનો અર્થ?

Victoria   2026-06-28 15:31:42
Author: Mumbai Samachar Team
Article Image

વિક્ટોરિયાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ)માં તેમના નેતૃત્વ માટે સેશેલ્સ તરફથી દેશનું સર્વોચ્ચ સન્માન ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ એનાયત કરવામાં આવ્યું છે. રવિવારે રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ તેમને આ સન્માન આપ્યું હતું.

શું છે ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન?

'ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન' નો અર્થ છે 'નીલા ક્ષિતિજનો સંરક્ષક'. આ એક વિશેષ સન્માનજનક ઉપાધિ છે, જે એવા નેતાઓ કે વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે સમુદ્ર, દરિયાઈ પર્યાવરણ, આબોહવા (ક્લાઈમેટ) સંરક્ષણ અને દરિયાઈ સંસાધનોના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવામાં મહત્વનું યોગદાન આપ્યું હોય. સેશેલ્સ જેવા ટાપુ દેશ માટે મહાસાગરો જ તેની જીવનરેખા છે, તેથી આ સન્માન તેના માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

PM મોદીને આ સન્માન કેમ મળ્યું?

સેશેલ્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ ઉપાધિ દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ, 'બ્લુ ઈકોનોમી' ને પ્રોત્સાહન આપવા, હિંદ મહાસાગર વિસ્તારમાં દરિયાઈ સુરક્ષા અને સહયોગને મજબૂત કરવા તેમજ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ સાથે જોડાયેલા વૈશ્વિક પ્રયાસોમાં ભારતની સક્રિય ભૂમિકાના સન્માનમાં આપી છે. આ સન્માન બંને દેશોના મજબૂત સંબંધો અને પર્યાવરણની રક્ષા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનું પણ પ્રતીક માનવામાં આવે છે.

વડાપ્રધાને કરી દ્વિપક્ષીય બેઠક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત-સેશેલ્સના સંબંધોના તમામ મુખ્ય પાસાઓની વિગતવાર સમીક્ષા કરી હતી અને પરસ્પર હિત સાથે જોડાયેલા પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરી હતી. ત્રણ દિવસની યાત્રા પર શનિવારે સેશેલ્સ પહોંચેલા વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રપતિ હર્મિનીએ 'સ્ટેટ હાઉસ' ખાતે ઔપચારિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી.

રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનશે

રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીના આમંત્રણ પર સેશેલ્સ પહોંચેલા વડાપ્રધાન મોદી સોમવારે દેશના રાષ્ટ્રીય દિવસની સુવર્ણ જયંતીની ઉજવણીમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ (મુખ્ય અતિથિ) તરીકે હાજરી આપશે. આ ઉપરાંત, તેઓ સેશેલ્સની નેશનલ એસેમ્બલી (સંસદ)ને સંબોધિત કરશે અને ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકોને મળીને તેમની સાથે વાતચીત પણ કરશે.

ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર

ભારત અને સેશેલ્સ વચ્ચે લાંબા સમયથી ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. બંને દેશોની ભાગીદારી સમાન ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો પર ટકેલી છે. બેઠક દરમિયાન આ સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.