નવી દિલ્હીઃ પીએમ-કિસાન હેઠળ રૂ. 18,640 કરોડનાં બાવીસમાં હપ્તાની ચુકવણી માટે કેન્દ્ર સરકારે આજે ખેડૂતોને પીએમ-કિસાન પોર્ટલ પર તેની વિગતો ચકાસી લેવા અને આગામી 13મી માર્ચ સુધીમાં ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાન મંત્રી કિસાન સન્માન નીધિ સ્કીમ હેઠળ આસામના ગુવાહાટીથી રજિસ્ટર્ડ થયેલા ખેડૂતોને રૂ. 9.32 કરોડ ડિજિટલ ધોરણે ટ્રાન્સફર કરશે. જોકે, કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આસામ સહિત દેશભરનાં ખેડૂતોને પીએમ-કિસાન પોર્ટલ પર તેના સ્ટેટસમાં રહેલી માહિતીની ચકાસણી કરવા માટે અનુરોધ કર્યો છે અને જો જરૂર હોય તો શક્ય એટલું જલદી કેવાયસી પૂર્ણ કરે જેથી 13મી માર્ચનાં રોજ બાવીસમાં હપ્તાની ચુકવણીના લાભ તેના ખાતામાં સમયસર મળી જાય.
લાભકર્તાની સહાય માટે પોર્ટલ પર `નો યોર સ્ટેટસ' મોડૅયુલ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કુલ પેમેન્ટ સ્ટેટસ, પાત્રતા, લેન્ડ સીડીંગ, આધાર સંલગ્નતા અને ઈ-કેવાયસી એક જ જગ્યા પરથી જોવા મળી શકશે.
વધુમાં સરકારે ફેસ ઑથૉન્ટિકેશન આધારિત મોબાઈલ એપ્લિકેશન પણ વિકસાવી છે જેથી ખેડૂતો ઘરે બેઠા કેવાયસી પૂર્ણ કરી શકે છે તેમાં ઓટીપી અથવા તો બાયોમેટ્રીક ડિવાઈસની પણ આવશ્યકતા નથી હોતી. આ ઉપરાંત રાજ્ય અને ગ્રામીણ સ્તરે અધિકારીઓ પણ રાખવામાં આવ્યા છે જે ખેડૂતોને સહાયરૂપ થશે.
વધુમાં મંત્રાલય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત વૉઈસ ચેટબોટ `કિસાન-ઈમિત્ર' હેઠળ 24 કલાક 11 ભાષાઓમાં સહાય આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં 11 લાખ ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ આપવામાં આવ્યા છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર બાવીસમાં હપ્તામાં લાભકર્તાઓમાં 2.15 કરોડ મહિલા ખેડૂત છે અને સ્કીમ હેઠળ માન્યતાપ્રાપ્ત ખેડૂત પરિવારને ત્રણ સમાન હપ્તામાં વર્ષે રૂ. 6000 આપવામાં આવે છે, જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યંત્રણા મારફતે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે આ બાવીસમાં હપ્તાની ચુકવણી છૂટી કરવાની સાથે પીએમ-કિસાન હેઠળ રૂ. 4.27 લાખ કરોડની ચુકવણી થશે.