Fri May 01 2026

Logo

આંદામાનમાં પવન હંસનું હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ, 7 લોકો સવાર હતાં...

2026-02-24 16:02:29
Author: Savan Zalariya
Article Image

પોર્ટ બ્લેઈર: ગઈ કાલે સોમવારે સાંજે ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ થતાં 7 લોકોના મોત થયા હતાં, આજે મંગળવારે સવારે અંદમાન અને નિકોબાર ટાપુઓના માયાબંદર નજીક એક હેલિકોપ્ટર દરિયામ તૂટી પડ્યું હોવાના અહેવાલ છે. ક્રેશના તુરંત બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર તમામ સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ ક્રેશ થયેલું હેલિકોપ્ટરનું સંચાલન ભારત સરકારની કંપની પવન હંસ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.  હેલિકોપ્ટર સવારે 8.45 વાગ્યે શ્રી વિજયા પુરમથી ઉડ્યું હતું અને ઉત્તર અને મધ્ય આંદામાન જિલ્લામાં માયાબંદર પહોંચવાનું હતું. લગભગ 9.૩૦ વાગ્યે પાઈલોટે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની જાણ કરી અને માયાબંદર નજીક દરિયામાં ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી.

મુસાફરોની ચમત્કારિક બચાવ:
હેલિકોપ્ટરમાં પાંચ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સહીત કુલ સાત લોકો સવાર હતાં. બોટની મદદથી તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. સાવચેતીના પગલા તરીકે તમામને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

વધુ તપાસ હાથ ધરવામાં આવી:
પવન હંસના અધિકારીના જણાવ્યા મુજબ તમામ સેફટી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. એવિએશન વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે ટેકનિકલ ખામીને કારણે પાઇલટને પાણીમાં કંટ્રોલ્ડ ક્રેશ-લેન્ડિંગ કરવાની ફરાજ પડી હતી, ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.