લાહોરઃ ઑપરેશન સિંદૂરને એક વર્ષ થઈ ગયું છે. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનના એક ટોચના કમાન્ડરે હવે નવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કમાન્ડરના દાવા મુજબ, ભારતે ઑપરેશન સિંદૂર શરૂ કરતાં આસિમ મુનીર આયત વાંચવા લાગ્યા હતા. સમગ્ર પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો હતો.
લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી સૈફુલ્લાહ ખાલિદ ફૈસલાબાદમાં જીતની રેલીમાં સામેલ થયો હતો. જ્યાં તેણે ખુદ કબૂલાત કરી કે, 8 મેના રોજ મુરીદકેના લશ્કરના હેડ ક્વાર્ટર પર ભારતીય સેનાએ હુમલો કર્યો હતો. તે ત્યાં શબના ટુકડા એકત્ર કરતો હતો. રેલીમાં હાફિઝ સઈદની મુક્તિના પણ લોકો નારા લગાવ્યા હતા. આતંકીએ ખૂદ તબાહીનો સ્વીકાર કર્યો હતો. આ વીડિયોએ પાકિસ્તાનના ખોટા દાવાનો પર્દાફાશ કર્યો હતો.
લશ્કરના ટૉપ કમાન્ડર અને મુરીદકે હેડ ક્વાર્ટરના કેરટેકર આતંકી હાફિઝ અબ્દુલ રઉફે સૌથી મોટો ખુલાસો કર્યો હતો. તેણે ઓપરેશન સિંદૂર બાદ જનાજાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આતંકીઓના જનાજામાં પાકિસ્તાની સેનાના કોર કમાન્ડર, ચીફ સેક્રેટરી, આઈજી પંજાબ, એમએનએસ અને સાંસદ સામેલ થયા હતા.
આતંકી હાફિઝ રઉફે કહ્યું, જનાજામાં અનેક લોકો આવ્યા હતા. આ હુમલો મુરીદકે પર નહીં સમગ્ર પાકિસ્તાન પર થયો હતો. તેના આ નિવેદને પાકિસ્તાની સેના અને આતંકીઓ વચ્ચે સાઠગાંઠને ફરી એક વખત દુનિયા સામે ઉજાગર કરી હતી.
આતંકી રઉફે કહ્યું, 8 મેના ભારતીય ડ્રોન સમગ્ર પાકિસ્તાનમાં છવાઈ ગયા હતા. ઈસ્લામાબાદ, પેશાવર અને લાહોર સુધી ડ્રોનનો ડર હતો. પરંતુ પાકિસ્તાન તેને ઈન્ટરસેપ્ટ કરી શક્યું નહોતું. તેણે સ્વીકાર્યું કે, અમે તેને રોકી શક્યા નહોતા. આ કબૂલાતનામું પાકિસ્તાનની વાયુસેના અને એર ડિફેન્સની નિષ્ફળતા દર્શાવે છે. તેણે કહ્યું કે, 9 મેની રાત્રે પાકિસ્તાનના અનેક એરબેસ નિશાન પર હતા. નૂર ખાન એરબેસ, શોરકોટ એરબેસ, રહીમ યાર ખાન એરબેસ અને બહાવલપુરમાં પણ ભારતે હુમલો કર્યો હતો. જે બાદ ફીલ્ડ માર્શલ આસિમ મુનીર આયત વાંચવા લાગ્યા હતા.
શું હતું ઑપરેશન સિંદૂર
પહલગામ હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતે 7 મે, 2025ના ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણા પર હુમલા કર્યા હતા. આ ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મગ અને હિઝબુલ મુજાહિદીનના 9 મોટા ઠેકાણા નાશ કર્યા હતા તેમ જ 100થી વધુ આતંકવાદીનો ખાતમો કર્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાને ડ્રોન હુમલા અને ગોળીબાર કર્યો હતો. જેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ હતી અને 10 મેના યુદ્ધવિરામ પર સહમતિ બની હતી.