Mon Jul 27 2026

Logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPને ફટકો, સૌરાષ્ટ્રના આ નેતાએ આપ્યું રાજીનામું

2026-03-05 11:19:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક મોટો ફટકો લાગ્યો છે.  આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ નારણભાઈ કાતરીયા પાર્ટીમાંથી હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામા પત્રમાં તેમણે પ્રદેશ નેતૃત્વ પર ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. ભાવેશ કાતરીયા આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ છે.

શું લખ્યું છે પત્રમાં

AAPના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ નારણભાઈ કાતરીયા પત્રમાં લખ્યું છે કે, 2013થી આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં પાર્ટીને  ઉભી કરવામાં મારાથી શક્ય બધુ કર્યું છે, જેના સાક્ષી તરીકે સૌરાષ્ટ્રની જનતા છે. પરંતુ પાર્ટીની વાસ્તવિકતા જાણીને સ્પષ્ટ લાગી રહ્યું છે કે, પાર્ટીનો ઉદ્દેશ માત્ર અને માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે. આ ઉપરાંત પાર્ટીની આંતરિક બાબતો લોકશાહી અને ગુજરાતની આવતીકાલ માટે યોગ્ય લાગતી નથી. આ ઉપરાંત અનેક બાબતો એવી છે કે જે સાચો લોકશાહી પ્રેમી સહન ન કરી શકે.

થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્રમાંથી આપના નેતા રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હતું.2021-22માં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. 2022માં તેમને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ 45937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા. 11 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમણે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.

રાજુ કરપડા બાદ ભાવેશ કાતરીયાના રાજીનામા બાદ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી વધુ નબળી પડશે અને તેની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળશે તેમ માનવામાં આવે છે.