નવી દિલ્હીઃ નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (નોઈડા એરપોર્ટ) થી વાણિજ્યિક ફ્લાઇટ્સ આજે, સોમવાર (15 જૂન) થી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારપુ રામમોહન નાયડુએ ઔપચારિક દીપ પ્રગટાવીને એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ ફ્લાઈટ શરૂ થતા અનેક લોકોને ફાયદો થવાનો છે. મળતી માહિતી પ્રમાણે ઈન્ડિગોની પહેલી ફ્લાઈટે આજે સવારે લખનઉથી ઉડન ભરી હતી. જે સવારે 8 વાગ્યાની આસપાસ નોઈડા એરપોર્ટ પહોંચી ગઈ હતી.
ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ એરપોર્ટ પરથી પહેલી ઉડાનમાં વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના, મુખ્ય સચિવ એસપી ગોયલ સાથે 75 કારોબારી પરિવાર અને અન્ય કેટલાક યાત્રીઓએ પણ મુસાફરી કરી હતી. નોઈડા એરપોર્ટ પહેલા દરેક મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર થઈ રહી છે.
પહેલા દિવસે કુલ આઠ ફ્લાઇટ્સનું સંચાલન કરશે
YAPL અને NIAL ના અધિકારીઓ ઘણા દિવસોથી ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓમાં વ્યસ્ત હતા. રવિવારે એરપોર્ટની સજાવટ અને મુસાફરોની સુવિધાઓ અંગેની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પહેલા દિવસે ઇન્ડિગો એરલાઇન્સ કુલ આઠ ફ્લાઇટ્સનું સંચાલન કરશે, જેમાં બે ખાસ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. એક ખાસ ફ્લાઇટ સવારે 08:30 વાગ્યે નોઇડાથી લખનૌ માટે રવાના થશે.
આ વિમાનમાં 160 ખેડૂતો, જેવરના ધારાસભ્ય અને નોઇડા એરપોર્ટના અધિકારીઓનો સમાવેશ થશે. ફ્લાઇટ સવારે 09:20 વાગ્યે લખનૌ પહોંચશે, જ્યાં ખેડૂતો એરપોર્ટ માટે આભાર વ્યક્ત કરવા માટે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળશે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, પરત ફરતી વખતે તે લખનઉથી બપોરે 2:30 વાગ્યે ઉપડશે અને બપોરે 3:30 વાગ્યે નોઈડા પહોંચશે. નોઈડા એરપોર્ટથી બેંગલુરુ, લખનઉ, હૈદરાબાદ અને અમૃતસર માટે પણ ફ્લાઇટ્સ હશે.