કોલકાતા: એક તરફ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે પોતાના દેશની ઇંગ્લૅન્ડ લાયન્સ નામની ટીમની યુએઈ ટૂર અધવચ્ચેથી રદ કરી છે અને પોતાની મહિલા ક્રિકેટરોને યુએઈ ન મોકલવાનો નિર્ણય લીધો છે ત્યાં બીજી તરફ અનેક ફ્લાઈટો રદ થવાને લીધે ઝિમ્બાબ્વે પછી હવે વેસ્ટ ઈન્ડિઝ (West Indies)ના વર્લ્ડ કપ ક્રિકેટરોએ પણ ભારતમાં વધુ રોકાવું પડ્યું છે.
રવિવારે ભારત સામે કોલકાતા (Kolkata)માં વેસ્ટ ઈન્ડિઝની હાર થઈ ત્યાર પછી એના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ વેસ્ટ ઇન્ડિઝ પાછા જઈ નથી શક્યા.
વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ ભારતમાં સલામત છે એમ છતાં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓને વહેલાસર હેમખેમ સ્વદેશ પાછા બોલાવવા માટે આઈસીસી સાથે સતત સંપર્કમાં છે.
દરમ્યાન, ઝિમ્બાબ્વેના ખેલાડીઓએ પોતાના બોર્ડને જણાવ્યું હતું કે તેઓ દિલ્હીમાં સલામત છે અને વહીવટકારો તેમને ફરી હરારે મોકલવા માટેની વૈકલ્પિક યોજના વિચારી જ રહ્યા છે. ઝિમ્બાબ્વેના ખેલાડીઓ વર્લ્ડ કપમાં છેલ્લી મૅચ રવિવારે દિલ્હીમાં સાઉથ આફ્રિકા સામે રમ્યા હતા.