(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ્ પક્ષે તેના ઉમેદવાર તરીકે ભીખાભાઇ રબારીના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા સતીષ પટેલને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે જેમના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે ભીખાભાઈ રબારીએ પાર્ટીના અગ્રણી નેતા રહ્યા છે. આ ઉપરાંત તેમણે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિમાં કાર્યકારી પ્રમુખની પણ સેવા આપી છે. તેમણે પક્ષમાં પ્રદેશ કક્ષાએ ઘણી જવાબદારીઓ નિભાવી છે અને મહામંત્રી પણ રહી ચૂક્યા છે. તે ઉપરાંત માલધારી સમાજ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) સમુદાયમાં રહેલી તેમની મજબૂત પકડને લીધે પણ પાર્ટીએ તેમને ઉમેદવાર માટે પસંદ કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાથે જ સરકારની નીતિઓ અને પ્રજાના પ્રશ્નોના વિરોધમાં પણ તેઓ સક્રિય રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે માંજલપુર વિધાનસભા બેઠકની છેલ્લા ઘણા સમયથી ભાજપના ગઢની છાપ રહી છે. આ બેઠક પર આગામી 30મી જુલાઇના રોજ મતદાન થવાનું છે અને 3 જી ઓગષ્ટના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.