(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગે 8 કંપનીઓ સાથે એમઓયુ કર્યા છે. આ કરારોથી મહારાષ્ટ્રમાં લગભગ 44 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. એટલું જ નહીં, આ દ્વારા 7 હજારથી વધુ નોકરીઓનું સર્જન થવાની પણ શક્યતા છે. એરોસ્પેસ, ડેટા સેન્ટર, સ્ટીલ, ગ્રીન ઇનિશિયેટિવ્સ, હાઇડ્રોજન અને નેચરલ ગેસ સ્ટોરેજ સિસ્ટમ્સ, ફાઇબર ઉત્પાદન ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતની હાજરીમાં બુધવારે વિધાનભવન ખાતે ઉદ્યોગ વિભાગ વતી આઠ કંપનીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આ આઠ કંપનીઓના પ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્ય પ્રધાન ફડણવીસ જાન્યુઆરી 2025 અને 2026માં યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ગયા હતા. વિશ્ર્વભરની મોટી કંપનીઓ સાથે બેઠકો અને મહારાષ્ટ્રમાં ઉદ્યોગો સ્થાપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર અને ડેટા સેન્ટર, ઓટોમોબાઇલ, સેમિક્ધડક્ટર, ઇવી, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ, સંરક્ષણ અને એરોસ્પેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે ક્ષેત્રોમાં રોકાણ કરારો હવે શરૂ થયા છે.
દેવેન્દ્ર ફડણવીસે આઠ કંપનીઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેના પરિણામે મહારાષ્ટ્રમાં કુલ રૂ. 44,710 કરોડનું રોકાણ થયું છે. ઉપરાંત, આ કરાર દ્વારા લગભગ 7,030 નોકરીઓનું સર્જન થવાની સંભાવના છે. રાજ્ય સરકારે રોકાણકારો માટે જરૂરી મિકેનિઝમ ગોઠવી છે. ફડણવીસે આ પ્રસંગે કહ્યું કે જો વહીવટી બાબતોમાં કોઈ મુશ્કેલી પડશે તો સરકાર શક્ય તમામ મદદ પૂરી પાડશે.
કયા ક્ષેત્રોમાં રોકાણ?
એરોસ્પેસ, ડેટા સેન્ટર, સ્ટીલ, ગ્રીન ઇનિશિયેટિવ, હાઇડ્રોજન અને નેચરલ ગેસ સ્ટોરેજ સિસ્ટમ, ફાઇબર ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ નાંદેડ, નાશિક, પુણે, નાગપુર, છત્રપતિ સંભાજીનગર, ચંદ્રપુર, અહિલ્યાનગર અને અમરાવતીમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપશે.