Sun Mar 08 2026

Logo

આયુષ્યમાન ભારત અને અન્ય યોજનાઓ હેઠળ કવરેજ વધારવા માટે સરકાર એમએમઆરની હોસ્પિટલો સાથે બેઠક કરશે...

1 week ago
Author: vipulbv
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ઓછા પેનલમેન્ટ અને અપૂરતા વળતર દર અંગે ચિંતા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું કે તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય યોજનાઓમાં ભાગીદારી વધારવા માટે એક મહિનામાં મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રની મોટી હોસ્પિટલો સાથે બેઠક કરશે.

રાજ્ય વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવતા, કેટલાક સભ્યોએ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત અને મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજનાઓનો મોટા પાયે પ્રચાર થયો હોવા છતાં, મર્યાદિત સંખ્યામાં પેનલ્ડ હોસ્પિટલોને કારણે તેમના લાભો મુંબઈ અને ઉપનગરીય વિસ્તારોમાં લોકો સુધી પહોંચી રહ્યા નથી.

તેઓએ આરોપ લગાવ્યો હતો કે યોજના હેઠળ નક્કી કરાયેલ વળતર દર મુંબઈ અને એમએમઆરની હોસ્પિટલો માટે ખૂબ ઓછા છે, જે મલ્ટી-સ્પેશિયાલિટી અને પ્રતિષ્ઠિત હોસ્પિટલોને જોડાવાથી નિરાશ કરે છે. સભ્યોએ ઉચ્ચ ઓપરેશનલ ખર્ચને ધ્યાનમાં લેતા મેટ્રો શહેરો માટે અલગ દર માળખું તૈયાર કરવાની માગણી કરી હતી. 

ચર્ચાનો જવાબ આપતા, આરોગ્ય રાજ્યમંત્રી મેઘના બોર્ડીકરે જણાવ્યું હતું કે 1 જુલાઈ, 2024થી, આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના એકીકૃત મોડમાં લાગુ કરવામાં આવી રહી છે, જે રાજ્યના લગભગ 2.5 કરોડ પરિવારો (લગભગ 12.5 કરોડ લાભાર્થીઓ) ને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડે છે.

યોજના હેઠળ આવરી લેવામાં આવેલા રોગોની સંખ્યા 1,369થી વધીને 2,399 થઈ ગઈ છે, જ્યારે પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલો લગભગ 2,000થી વધીને 4,000થી વધુ થઈ ગઈ છે, જેનો લક્ષ્યાંક વધુ વિસ્તારવાનો છે, એમ તેમણે જણાવ્યું હતું.

મુંબઈ અને તેના મેટ્રોપોલિટન પ્રદેશની મુખ્ય હોસ્પિટલો સાથે યોજનાઓમાં જોડાવા માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે બેઠકો ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું, અને ખાતરી આપી હતી કે પ્રદેશમાં ઊંચા સારવાર ખર્ચ અંગેની ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવશે.

સભ્યોએ હોસ્પિટલોને ચૂકવણીમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો અને ફુગાવાને ધ્યાનમાં રાખીને પેકેજ દરોમાં વાર્ષિક સુધારો કરવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે લગભગ 6.95 લાખ દર્દીઓની સારવાર માટે 3,419 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે અને દાવો કર્યો હતો કે બિલ ચુકવણીમાં કોઈ વિલંબ થયો નથી.

તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે ખાનગી હોસ્પિટલોને આ યોજનામાં જોડાવા માટે ફરજ પાડી શકાય નહીં, પરંતુ વધુ મલ્ટી-સ્પેશિયાલિટી અને ચેરિટેબલ હોસ્પિટલોને સાથે લાવવા માટે ચર્ચા ચાલી રહી છે.

સરકારે ગૃહને એવી પણ માહિતી આપી હતી કે 24 હોસ્પિટલોની નોંધણી રદ કરવામાં આવી છે અને 75 અન્ય હોસ્પિટલોને યોજના હેઠળ લાભ ન આપવા બદલ પેનલમાંથી બહાર કરવામાં આવી છે.ઘૂંટણ બદલવાની (ની-રિપ્લેસમેન્ટ) પ્રક્રિયાઓને સમાવવા અંગે, સરકારે કહ્યું કે તે માગણી પર વિચાર કરશે.તેમાં ઉમેર્યું હતું કે વિસ્તૃત કવરેજ હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને છ લાખથી વધુ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.