Wed Jun 24 2026

Logo

કોલકાતામાં મોટી હોનારત: તારાતલામાં ગોડાઉનની છત તૂટતાં 50થી વધુ લોકો દટાયા, 5નાં મોત

2026-06-24 16:23:00
Author: Mumbai Samachar Team
Article Image

નિર્માણાધીન ગોડાઉનની છત તૂટી પડતાં અફડાતફડી: 13 લોકોને સુરક્ષિત બહાર કઢાયા

કોલકાતાઃ પશ્ચિમ કોલકાતાના તારાતલા વિસ્તારમાં આજે સવારના મોટી હોનારતનું નિર્માણ થયું, જ્યાં એક નિર્માણાધીન ગોડાઉનની છત તૂટી પડી હતી. આ દુર્ઘટનાને કારણે ઘટનાસ્થળે અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું. આ દુર્ઘટનાનો ભોગ સ્થાનિક લોકોની સાથે શ્રમિકો બન્યા છે. મળતી માહિતી અનુસાર ઘટના વખતે ગોડાઉનમાં અનેક મજૂદરો કામગીરી કરી રહ્યા હતા, જેમાં 50થી વધુ લોકો દટાયા છે, જ્યારે પાંચેક લોકોના મોત થયા છે.

રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
આ દુર્ઘટનાની જાણકારી પછી કોલકાતા પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પાલિકાની ટીમની સાથે આર્મીના જવાનો પણ પહોંચ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 13 લોકોની સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધીમાં કેટલા લોકો ફસાયા છે એના અંગે નક્કર માહિતી મળી નથી. હાલના તબક્કે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

વિસ્ફોટ જેવો હતો અવાજ
આ દુર્ઘટના તારાતલા વિસ્તારના બ્રેસ બ્રિજ નજીકના ટ્રાન્સપોર્ટ ડેપો સ્થિત એક નિર્માણાધીન ગોડાઉનમાં બની હતી. સાક્ષીઓએ કહ્યું હતું કે છત તૂટી પડવાને કારણે વિસ્ફોટ જેવો ભયાનક અવાજ આવ્યો હતો, જેને સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દુર્ઘટના પછી લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો, જેથી રાહત કામગીરીમાં કોઈ અવરોધ ઊભો થાય નહીં. કાટમાળમાં લગભગ 50થી વધુ લોકો દટાયા છે, જ્યારે બચાવ કામગીરી પણ ચાલુ છે.

અસરગ્રસ્તોને સુરક્ષિત ખસેડ્યાં
બચાવ અભિયાનને ઝડપી બનાવવા માટે ભારે મશીન, ક્રેઈન અને જરુરી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાટમાળમાં દબાયેલા લોકોની સાથે અન્ય ભારે સામાનને ખસેડવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે રાહત કામગીરી માટે આર્મીના જવાનોની મદદ લેવામાં આવી છે. સૌથી પહેલા પીડિતોની ઘટનાસ્થળેથી સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જ્યારે ગોડાઉનની છત કઈ રીતે તૂટી પડી એનું કારણ પણ જાણવા મળ્યું નથી. આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

છેલ્લા 10 વર્ષમાં થયેલી દુર્ઘટના

  • માર્ચ 20224માં ગાર્ડન રીચ એરિયામાં પાંચ માળની નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશયી થવાથી 12 લોકોના મોત થયા હતા
  • જુલાઈ, 2023માં મહારાષ્ટ્રના થાણેમાં ઈમારતનો સ્લેબ તૂટી પડવાને કારણે સાતનાં મોત
  • જૂન 2023માં મુંબઈમાં બાંદ્રા બિલ્ડિંગનો અમુક ભાગ તૂટવાને કારણે મજૂરો ઘાયલ
  • સપ્ટેમ્બર, 2022માં અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગનો ભાગ તૂટવાથી મજૂરો દટાયા
  • 2016માં કોલકાતામાં વિવેકાનંદ ફ્લાયઓવર તૂટવાથી 27 લોકોનાં થયા હતા મોત