મુંબઈ: ઇંગ્લૅન્ડ સામેની આજની વાનખેડે ખાતેની ટી-20 વર્લ્ડ કપ સેમિ ફાઈનલ (સાંજે 7.00 વાગ્યાથી) જીતીને ભારત ત્રીજી વખત આ ફોર્મેટની સર્વોચ્ચ ટ્રોફી જીતવાની દિશામાં આગળ વધી શકશે, પરંતુ એ પહેલાં જસપ્રીત બુમરાહે ભારતીય સિદ્ધિ પોતાના નામે કરી લીધી હશે એવું ખાતરીથી કહી શકાય.
યોર્કર સ્પેશિયાલિસ્ટ બુમરાહ આજે એક વિકેટ લેશે એટલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની એ 500મી વિકેટ (500th wicket) કહેવાશે.

એ સાથે બુમરાહ (Bumrah) ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 500 કે 500થી વધુ વિકેટ લેનાર અનિલ કુંબલે અને કપિલ દેવ સહિતના સાત દિગ્ગજ ભારતીય બોલરની હરોળમાં આવી જશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બુમરાહની અત્યારે કુલ 499 વિકેટ છે. 500 કે વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લઈ ચૂકેલા સાત ભારતીય બોલરમાં અનિલ કુંબલે (956), રવિચંદ્રન અશ્વિન (765), હરભજન સિંહ (717), કપિલ દેવ (687), રવીન્દ્ર જાડેજા (634), ઝહીર ખાન (610) અને જાવાગલ શ્રીનાથ (551)નો સમાવેશ છે.