તહેરાનઃ ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે. પાકિસ્તાન ટપાલી બનીને શાંતિ મંત્રણા કરાવવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું તેને પણ દુનિયા સામે હવે સાંભળવાનો વારો આવ્યો છે. ઇસ્લામાબાદની અંદર ચાલી રહેલા આ બેઠક 24 કલાક સુધી ચાલી પરંતુ કોઈ નિષ્કર્ષ આવ્યો નથી. બંને દેશોએ પોતપોતાની શરતો રાખી હતી, પરંતુ શરતોને માનવા માટે કોઈ તૈયાર નથી. આ મુદ્દે અમેરિકા અને ઈરાને એકબીજા પર આક્ષેપો કર્યાં છે. વાસ્તવમાં સાચુ કોણ છે તે પણ અત્યારે એક પ્રશ્ન બની ગયો છે.
અમેરિકા પર રકાયદેસર માંગણીઓ કરવાનો આરોપ
આ શાંતિ મંત્રણામાં ઈરાને સંપૂર્ણપણે અલગ વલણ અપનાવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, વાટાઘાટોની સફળતા બીજી બાજુ દ્વારા દર્શાવવામાં આવેલી પ્રામાણિકતા અને સંતુલન પર આધારિત હોય છે. તેમણે નોંધ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં, હોર્મુઝ સ્ટ્રેટ, પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધો હટાવવા, યુદ્ધ વળતર અને સમગ્ર પ્રદેશમાં સંઘર્ષોનો અંત લાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. મહત્વની વાત એ છે કે, ઈરાને યુનાઇટેડ સ્ટેટ્સ પર અતિશય અને ગેરકાયદેસર માંગણીઓ કરવાનો આરોપ મૂક્યો છે. એટલું જ નહીં પરંતુ આઇસ્લામાબાદ શાંતિ મંત્રણા નિષ્ફળ રહી તે માટે ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ અમેરિકા દ્વારા કરવામાં આવેલી માંગણીઓને જવાબદાર ગણાવી છે.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે શું કહ્યું?
મીડિયા સાથે વાત કરતા અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે ઈરાન સાથે 21 કલાક સુધી વાતચીત કરી. અમે સારા વિશ્વાસથી આવ્યા હતા, પરંતુ શાંતિ વાટાઘાટો કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. ઈરાન શરતો સ્વીકારવા તૈયાર નથી. તેથી, અમે યુનાઇટેડ સ્ટેટ્સ પાછા ફરી રહ્યા છીએ. ઈરાન સાથે અનેક મુદ્દાઓ પર ગતિરોધ છે. અમે નથી ઇચ્છતા કે ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવે. જેડી વાન્સએ વધુમાં કહ્યું કે, અમે સારા વિશ્વાસથી આવ્યા હતા, પરંતુ શાંતિ મંત્રણા કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. આ અમેરિકા માટે નહીં પરંતુ ઈરાન માટે ખરાબ સમાચાર છે.