(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર દેખાઈ રહી છે. અનેક ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તો બીજી તરફ પેટ્રોલ-એલપીજીની અછતના અહેવાલો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આવ વર્ષે ફી નહિ વધારવાનો નિર્ણય લઈને મધ્યમ વર્ગને રાહત આપી હતી.
મળતી વિગતો અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિની અસર તેમજ સતત મોંઘવારીનો મારની વિકટ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદના પાલડી ખાતે સમગ્ર રાજ્યના આગેવાનોની હાજરીમાં એસોસિએશનની જનરલ બેઠક યોજાઈ હતી, જેમાં હાલની મોંઘવારી અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે જૂન માસમાં જે ભાડા નક્કી કરવામાં આવ્યા હતા, તે જ દર યથાવત રાખવામાં આવશે. જે આ વર્ષ ભાડામાં વધારો વાલીઓ પર આર્થિક ભાર ન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો આગામી સમયમાં યુદ્ધના કારણે સીએનજીની કિંમતમાં વધારો થશે, તો અન્ય બેઠક બોલાવીને આ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવશે તેમ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું.