તેહરાન: યુએસ અને ઇઝરાયલે હુમલા શરુ કર્યા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર નિયંત્રણો લગાવ્યા છે, જેને કારણે ખાસ કરીને પેટ્રોલિયમના વેપારને માઠી અસર પહોંચી છે. ભારતને મળતા ક્રુડ ઓઉલ અને ઇંધણની સપ્લાય ઓછી થઇ ગઈ છે. એવામાં ઈરાને ભારત સાથે મિત્રતા નિભાવી છે. ઈરાને ખાતરી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો સલામત રહેશે.
ભારતમાં ઈરાનના દુતાવાસે X પર પોસ્ટ કરી ભારતને મિત્ર દેશ ગણાવ્યો. પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે ભારતીય ધ્વજવાળા જહાજો અને તેમના ખલાસીઓ સુરક્ષિત છે, જેનાથી ભારતને LPG અને પેટ્રોલિયમ સતત પુરવઠો સુનિશ્ચિત થશે. ભારતીય મિત્રોએ હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ વિશે ચિંતા કરવાની જરૂર નથી.
Our Indian friends are in safe hands, no worries 😉 https://t.co/5NqoSFlDPQ
— Iran in India (@Iran_in_India) April 1, 2026
ઈરાનના દૂતાવાસે X પર પોસ્ટ કરી લખ્યું, "અમારા ભારતીય મિત્રો સુરક્ષિત રહેશે, ચિંતાની વાત નથી."
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેકવાર ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા નહીં તો પરિણામો ભોગવવા ચેતવણી આપી ચુક્યા છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ તેના સંપૂર્ણ અને નિર્ણાયક નિયંત્રણ હેઠળ છે.
ઈરાનની સંસદે હોર્મુઝ સ્ટ્રેટ માટે નવી મેનેજમેન્ટ યોજનાને મંજૂરી આપી છે, જેમાં જહાજો પર ટોલ લગાવવા અને ચોક્કસ દેશોના જહાજો પર પ્રતિબંધો લગાવવાના પ્રસ્તાવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ઈરાને ભારતને રાહત આપી છે, ભારતના જાહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થઇ શકાશે તો ભારતીય લોકોને રાહત મળી શકે છે.