Thu Jun 18 2026

Logo

ઈરાન અને યુએસ વચ્ચે ફરી વાટાઘાટો થઇ શકે છે! આ જગ્યાએ યોજાઈ શકે છે વાટાઘાટો

Washington DC   2026-04-14 13:58:00
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડીસી: સંઘર્ષનો અંત લાવવા માટે ઈરાન અને યુએસ વચ્ચે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં થયેલી વાટાઘાટો નિષ્ફળ રહી હતી. બંને દેશો વચ્ચે ફરી સશસ્ત્ર સંઘર્ષ ફરી શરુ થવાના ડરે દુનિયાભરમાં ચિંતા ફેલાઈ છે, એવામાં અહેવાલ છે કે યુદ્ધવિરામનો અંત આવે તે પહેલાં, આવતા શનિવારે કે રવિવારે યુએસ અને ઈરાન વચ્ચે વાટાઘાટોનો વધુ એક રાઉન્ડ યોજાઈ શકે છે. 

મીડિયા અહેવાલો અનુસાર, ઈરાન યુએસની માંગણીઓ સ્વીકારવા તૈયાર છે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટૂંક સમયમાં વ્યક્તિગત વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.
મીડિયા એહવાલ અનુસાર યુએસ અને ઈરાન 21 એપ્રિલના રોજ વ્યક્તિગત વાટાઘાટો યોજવા વિચાર કરી રહ્યા છે, આ દરમિયાન યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું કે વાટાઘાટોનો નવો રાઉન્ડ યોજવા માટે ચર્ચા હજુ પણ ચાલી રહી છે. હજુ એ સ્પષ્ટ નથી કે આ વાટાઘાટોમાં અગાઉ હાજર રહેલું પ્રતિનિધિમંડળ જ હાજરી આપશે કે અન્ય કોઈ. 

યુએસ અને ઈરાન વચ્ચે નવા રાઉન્ડની વાટાઘાટો માટે પાકિસ્તાનના ઇસ્લામાબાદ અને સ્વીત્ઝરલૅન્ડના જીનીવા બંને સંભવિત સ્થળો પર ચર્ચા થઈ રહી છે.

ટ્રમ્પ અને વાન્સે શું કહ્યું:
સોમવારે ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે "અમને સામે પક્ષેથી આમંત્રણ આપવામાં આવ્યું છે" અને "તેઓ સોદો કરવા તૈયાર છે."
યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ કહ્યું હતું કે ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા દરમિયાન ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે સામે તૈયારી બતાવી હતી, ચર્ચાઓને આગળ વધારવા માટે ઈરાને આગળનું પગલું ભરવાનું છે.