Wed Jun 24 2026

Logo

સિંધુ જળ વિવાદ: પાકિસ્તાનની યુદ્ધની ધમકી બાદ કચ્છ સરહદે લશ્કરી હિલચાલ તેજ, ભારતીય સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર

2026-06-24 10:47:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના પાણીના મુદ્દે સર્જાયેલો વિવાદ હવે અત્યંત ગંભીર વળાંક લઈ રહ્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખવાજા આસિફ દ્વારા ભારત સામે યુદ્ધની ખુલ્લી ધમકી આપવામાં આવ્યા બાદ, ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદે ભારે તંગદિલી વ્યાપી ગઈ છે જેમાં ખાસ કરીને કચ્છના રણ અને સરક્રીક વિસ્તારની સામે આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર અને નગરપારકર સેક્ટરમાં છેલ્લા 48 કલાકથી પાકિસ્તાની સૈનિકો અને રેન્જર્સની અવરજવર અચાનક વધી ગઈ હોવાના અહેવાલો સાંપડ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સરહદથી માત્ર 8 થી 12 કિલોમીટર દૂર પાકિસ્તાન દ્વારા તાબડતોબ કામચલાઉ સૈન્ય છાવણીઓ ઊભી કરવામાં આવી છે અને તોપખાના સહિતના ભારે લશ્કરી વાહનો ખડકી દેવાયા છે. પાકિસ્તાનની આ શંકાસ્પદ "રીઅર મૂવમેન્ટ"ને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ તુરંત એક્શન મોડમાં આવી ગઈ છે. સરહદી સલામતી દળ અને ગુજરાત પોલીસે કચ્છના ભુજ, લખપત અને સરક્રીક પટ્ટામાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દીધી છે. સરહદ પર કોઈ પણ અનિચ્છનીય પ્રવૃત્તિને રોકવા માટે ડ્રોન, હાઇ-રિઝોલ્યુશન કેમેરા અને નાઇટ વિઝન ઉપકરણો દ્વારા 24 કલાક ડિજિટલ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત ગત 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા ભીષણ આતંકી હુમલા બાદ થઈ હતી, જેમાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના આકરા વિરોધમાં ભારતે 1960ની ઐતિહાસિક 'સિંધુ જળ સંધિ'ને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. ભારતના રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં અને આતંકવાદના આશ્રયદાતાઓને પાણી નહીં મળે." આ સાથે જ ભારતના જળશક્તિ પ્રધાન સી. આર. પાટિલે વર્ષ 2028 સુધીમાં પાકિસ્તાન જતું પાણી સંપૂર્ણપણે રોકવાનો દાવો કરતાં પાકિસ્તાન અકળાયું છે અને સરહદ પર સૈન્ય દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

બીજી તરફ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખવાજા આસિફે એક ટીવી ઇન્ટરવ્યૂમાં સત્તાવાર રીતે જણાવ્યું છે કે જો પાકિસ્તાનની જળ સુરક્ષા જોખમાશે, તો તેઓ ભારત સામે લશ્કરી કાર્યવાહી અને યુદ્ધનો વિકલ્પ અપનાવતા અચકાશે નહીં. નોંધનીય છે કે હાલમાં પાકિસ્તાનની એક તૃતીયાંશ વસ્તી, ખાસ કરીને સિંધ અને બલોચિસ્તાન પ્રાંતમાં, તીવ્ર જળ સંકટનો સામનો કરી રહી છે.

વિશ્વ બેંકની મધ્યસ્થતાથી થયેલી આ 66 વર્ષ જૂની સંધિ મુજબ પશ્ચિમ તરફ વહેતી સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીનું 80 ટકા પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવ્યું છે. પાકિસ્તાનની 16 મિલિયન હેક્ટર ખેતીલાયક જમીન અને કુલ વપરાશનું 93 ટકા પાણી આ નદીઓ પર નિર્ભર હોવાથી આ મુદ્દો તેમના માટે અસ્તિત્વનો પ્રશ્ન બન્યો છે. આથી, પાકિસ્તાને હવે આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના દ્વાર ખખડાવવાની તૈયારી કરી છે.

આ જંગની અસર આંતરરાષ્ટ્રીય મંચ પર પણ જોવા મળી રહી છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા સ્પષ્ટ કર્યું છે કે, આતંકવાદને પ્રોત્સાહન આપનારો દેશ આવી સદભાવનાપૂર્ણ સંધિના લાભની અપેક્ષા રાખી શકે નહીં. ભારતનો તર્ક છે કે આ દાયકાઓ જૂની સંધિ વર્તમાન સમયના ક્લાઇમેટ ચેન્જ અને વસ્તી વધારાની વાસ્તવિકતાઓ સાથે સુસંગત નથી.

જો કે, બંને દેશો પરમાણુ શક્તિ સંપન્ન હોવાથી સીધા લશ્કરી સંઘર્ષની શક્યતા ઓછી છે, પરંતુ પાણીનો આ ગંભીર મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાઈ જતાં આગામી દિવસોમાં કાશ્મીરથી લઈને ગુજરાત સરહદ સુધી રાજદ્વારી ઘર્ષણ અને સૈન્ય તણાવ વધુ ઉગ્ર બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)