Wed Apr 22 2026

Logo

રાજકીય પક્ષોને બોગસ ડોનેશન અપાવવાના કૌભાંડમાં અમદાવાદના 11 CA પર ICAI એ શું કરી કાર્યવાહી?

2026-02-17 09:34:33
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ  રાજકીય પક્ષોને દાનના બોગસ કેસમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના બોર્ડ ઓફ ડિસિપ્લિન દ્વારા અમદાવાદના 11 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ(CA)ને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.  બોર્ડે  તેના આદેશમાં નોંધ્યું કે, આ કેસમાં સંડોવાયેલા રાજકીય પક્ષો સામે આવકવેરા વિભાગ દ્વારા રિ-એસેસમેન્ટની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે તેમની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.  CA દ્વારા બોર્ડને સહાનુભૂતિપૂર્વક વિચારવાની વિનંતી કરી હતી અને  ભવિષ્યમાં આવું વર્તન નહીં કરે તેવી ખાતરી આપવામાં આવી હતી. તેમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને બોર્ડે માત્ર ઠપકો આપવાનો આદેશ આપ્યો હતો.

સીએ બોર્ડે શું કર્યું અવલોકન

આદેશમાં જણાવાયું હતું કે, કેસની હકીકતોને ધ્યાનમાં લેતા, જેમાં આવકવેરા વિભાગ દ્વારા કોઈ પુનઃમૂલ્યાંકન કરવામાં આવ્યું નથી કે સંકળાયેલા રાજકીય પક્ષો સામે કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી, અને CA દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને, બોર્ડે તેમને ઠપકો આપવાનું નક્કી કર્યું છે.

બોર્ડે એ પણ અવલોકન કર્યું હતું કે, આ CA સભ્યોએ 2021 માં આપેલા તેમના નિવેદનો લગભગ બે વર્ષ પછી 2023 માં એફિડેવિટ દ્વારા પાછા ખેંચ્યા હતા. બોર્ડે નોંધ્યું કે તેઓ લાંબા સમય સુધી તેમના મૂળ નિવેદનો પર અડગ રહ્યા હતા અને જ્યારે શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો ત્યારે જ તેને પાછા ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

શું હતો સમગ્ર કેસ?

આ કેસ ફેબ્રુઆરી 2021 માં અમદાવાદ સ્થિત ત્રણ રાજકીય પક્ષો અને બે ચેરિટેબલ સંસ્થાઓ પર આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ કરવામાં આવેલા સર્ચ અને સીઝર ઓપરેશનમાંથી ઉદભવ્યો હતો. વિભાગે મોટા પાયે ટેક્સ ચોરીની આશંકા વ્યક્ત કરી હતી.

આઇ-ટી વિભાગના જણાવ્યા અનુસાર, આશરે 28 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ 'બોગસ ડોનેશન સ્કીમ'માં ગ્રાહકો શોધતા હોવાનું જાણવા મળ્યું હતું. એક્ટની કલમ 132(4) અને 131(1A) હેઠળ શપથ પર નોંધાયેલા નિવેદનોમાં આ CA સભ્યોએ કથિત રીતે પોતાની ભૂમિકા કબૂલી હતી.

વિભાગનો આરોપ હતો કે આ વ્યાવસાયિકોએ ટેક્સ ચોરી અને 'કપટપૂર્ણ ચૂંટણી ભંડોળ'ની સુવિધા માટે અમુક રાજકીય પક્ષો સાથે જોડાયેલી વ્યક્તિઓ સાથે મિલીભગત કરી હતી. જે ગ્રાહકો પોતાની કરપાત્ર આવક ઘટાડવા માંગતા હતા, તેમને રાજકીય પક્ષોના નિયુક્ત બેંક ખાતાઓમાં 'દાન' આપવા માટે સમજાવવામાં આવ્યા હતા.

ટ્રાન્સફર પછી, દાતાની વિગતો (નામ, PAN, સરનામું, બેંક વિગતો) વોટ્સએપ દ્વારા પક્ષના હોદ્દેદારો સાથે શેર કરવામાં આવતી હતી, જેઓ દાનની રસીદો જનરેટ કરતા હતા. ત્યારબાદ, મધ્યસ્થીઓ અને સંબંધિત CA માટે કમિશન કાપીને બાકીના નાણાં મૂળ દાતાઓને રોકડમાં પરત કરવામાં આવ્યા હોવાનો આરોપ હતો.